પૂત કપૂત તો કયું ધન સંચય ..પૂત સપૂત તો કયું ધન સંચય ..?
જીવનમાં અડધે આવો એટલે ઘણા બધા સવાલો ઉભા થાય.. એકધારું જીવન જીવતા હોય એવા લોકોને એમ થઇ જાય કે આ બધું હું શું કરું છું ? કોના માટે કરું છું ? રૂપિયો રૂપિયો બચાવીને જે સંપતિનું સર્જન કરું છું એ બધું કોના માટે છે ?
ઉપરની કેહવતમાં જેને થેક ના લીધી હોય એને માટે સાદી ભાષામાં કહું તો પુત્ર આડે રવાડે ચડીને કુપુત્ર થવાનો છે તો તમારી બધી માલ મિલકત ભવિષ્યમાં ફૂંકી જ મારવાનો છે તો એના માટે પોતાની જાતે મરી મરીને માળવો લેવાની ક્યાં જરૂર છે ? અને જો પુત્ર સુપુત્ર થવાનો છે તો એ તો એનું કરી જ લેવાનો છે તો પછી એના માટે મારે ભેગું કરીને શું કામ છે..?
સવાલ બધી રીતે વ્યાજબી છે, પણ આ ઘોર કલિયુગમાં પુત્ર કે પુત્રી કપૂત પણ નથી અને સપૂત પણ નથી તો શું કરશો ?
એ એનું પંડ રળે ને પેટ ખાય એટલું કમાયો તો તમે ક્યાં જશો ?
ઘરડે ઘડપણ કરશો શું ?
સરકારી નોકરી છે કે હતી , અને જોર મારી ખાધું છે ,ઉપરથી પાછું પેન્શન આવવાનું છે..તો તો પછી ઠીક છે અને એમાં પણ મારી ખાધેલું વાપરવા પણ નથી મળ્યું , કેમ કે વાપરવાનું ચાલુ કરે સલવાઈ જવાય કોઈક કૈક અરજી નાખે તો ફીટ થઇ જવાય એટલે એવા લોકોને તો જખ મારીને ધીમે ધીમે વાપરવું રહ્યું ..
પણ પોતે જાત્તે મેહનત કરે છે ,તન તોડે છે અને મનને મારે છે ,પછી ભેગું કરે એવા લોકોને બિચારાને આવા સવાલો થાય ..!!
એક રસ્તો છે .. અને બહુ સરસ રસ્તો છે .. જીવન હોય કે ધંધો કે નોકરું ..
એકધારી જિંદગીમાંથી બાહર આવો એટલે આવા કુત્તા જેવા વિચારો નહિ આવે..!!
અત્યારે જે ચાલી રહ્યું છે તે એકધારી જિંદગીમાંથી બાહર આવવા માટે એ છે બાહરગામ ભટકવાનું અને સોશિઅલ મીડિયા ઉપર અપલોડ કરવાનું,
સારો રસ્તો છે પણ ખર્ચાળ છે .. બીજા ઘણા રસ્તા છે જે મફત છે ..!!
કલા અને સાહિત્ય..લગભગ મફત રસ્તા ..!!
અને હવે આ મોબાઈલના જમાનામાં સાવ મફત ..!!
હમણાં જ એક વિવાદ થયો ..
આપણને વાદ-વિવાદ કે ઝઘડો પડે ને તો બહુ મજા આવે, અને એ વિવાદ મોટા મોટા ગુજરાતી સાહિત્યકારોમાં થયો .. “સૈરંધ્રી” વાળો ..!!
પ્રબંધની રચના થઇ અને એમાં સૈરંધ્રીને કર્ણ જોડે પ્રેમ કરાવ્યો ને કીચક વાહલો લાગ્યો એને .. અને પછી તો સાહિત્યકાર નામની જનતા તૂટી જ પડી એકબીજા ઉપર ..!!
મજ્જા પડી ગઈ વાંચવાની, બંને બાજુ લાઈકો મારવાની ,આવું તાપણું તો “હળગતું” જ રહેવું જોઈએ .. આખું સાહિત્ય જગત `બાધે` ..!!
આપણી મોનોટોનસ (એકધારી ) લાઈફમાં બ્રેક મળી ગયો ..
બીજો રસ્તો સંગીત..
એક પ્રસંગ ..દર વર્ષે થતા સપ્તકના કાર્યક્રમમાં હું મારા કાન ચોખ્ખા કરવા ચોક્કસ જાઉં,
મારી આજુબાજુની તમામ જાહેર જનતાને ખબર કે શૈશવ સપ્તક અને નવરાત્રી આખી રાતની રાત ઘરમાં મળે જ નહિ, એટલે મારી જોડે સપ્તક કે નવરાત્રીમાં આવવાના ઘણીવાર લોકોને અભરખા જાગે ..!
એ વખતે એવું બન્યું કે એક વેહપારીને ત્યાં બેઠો હતો મને પૂછે કે આજે સપ્તકમાં કોણ છે ? એટલે મેં કીધું પંડિત હરિપ્રસાદજીનું બાંસુરી વાદન છે ..
જરાક સહજતાથી મેં પૂછ્યું આવવું છે તમારે ? તો કહે હા પણ મને બહુ સમજણ ના પડે પણ અમારા એક વડીલ કાકા છે, એમને પણ સાથે લેતો આવું તો મને કંપની રેહશે .. હવે એ દિવસે બે-ત્રણ મિત્ર નોહતા આવવાના એટલે એમના પાસ પડ્યા જ હતા એટલે મેં હા પાડી ..
વેહપારીએ ફોન લગાડ્યો એના કાકાને …અને પૂછ્યું .. કાકા , વાંસળી વગાડવાના છે ઓલા સપ્તકમાં , તમારે આવવું છે ? ફોન સ્પીકર ઉપર હતો ..
કાકા ઉવાચ .. એમ કરોને એ વાંસળીવાળા ભાઈને લઈને ઘેર આવી જાવ આપણે સાથે ભોજન લઈશું અને એમને થોડીકવાર સાંભળી લઈશું ..!!
બોલો કેવી ખોપરી તમતમી જાય ..?????
મેં પેલા વેહપારીને કીધું ફોન કાપો બોસ, પછી તરત જ મેં કીધું .. જો ભઈલા એમાં એવું છે મારા ગુરુજીએ મને કીધું છે કે ગધેડે સાકરના નખાય નહિ તો ગધેડો મરી જાય એટલે તમે અને તમારા કાકાશ્રી ઘરમાં જ પડ્યા રહો એ જ ઉત્તમ છે, આ શાસ્ત્રીય સંગીત અને એમાં પણ પંડિત હરિપ્રસાદજીનું બાંસુરી વાદન તમે કે તમારા કાકા બંનેમાંથી એકેય ભૂલથી જીવનમાં ના સાંભળતા, નહિ તો કોઈને ૧૦૮ બોલાવવાનો ચાન્સ પણ નહિ રહે સીધી ૧૦૨ (શબવાહિનીનો નમ્બર) જ બોલાવવી પડશે .. સીએનજી ભઠ્ઠીમાં જશો તમે …!!
હવે આવી આવી નોટો ભરેલી પડી છે દુનિયામાં ..
પણ સાચું કહું ટેકનોલોજીએ બહુ મજા કરાવી દીધી છે ..ભૂલથી પણ પ્હો ફાટ્યું હોય અને એવે સમયે આંખ ખુલી જાયને તો યુટ્યુબ ખોલી અને ભારત રત્ન પંડિત ભીમસેનજીનો ભૈરવ ચાલુ કરીને ઘરના ધાબે હિંચકે બેસો એટલે નગાધિરાજ અને એમના જામાતા બંનેના દર્શન થઇ જાય ..!!
સાવ મફત ..બોલો જમાડવા પણ ના પડે ..!!
साहित्य संगीत कला विहीनः , साक्षात् पशुः पुच्छ विषाण हीनः I
तृणं न खादन्नपि जीवमानः ,तत् भागधेयं परमं पशूनाम् I I
“જે મનુષ્ય સાહિત્ય ,સંગીત , કલાથી વંચિત રહી ગયો છે કે રહી ગઈ છે તે પૂછડી અને શિંગડા વિનાના પશુ જેવો છે, એ ઘાસ ખાધા વિના જીવી રહ્યો છે કે જીવી રહી છે એ નિ:સંદેહ પશુ માટે સૌભાગ્યની વાત છે ..!!”
ચુપચાપ પોતાનું કામ કરો, રૂપિયા રળો , અને ભેગા કરો ,
પણ ચોપડાના .. રોકડાના નહિ .. હવે રોકડા વધારે ચાલશે નહિ , રોકડા કર્યા તો ચોરની માં કોઠીમાં મોઢા ઘાલી ઘાલી ને રડશે..!
રૂપિયો એની તાકાત જીવનમાં ગમ્મે તે સમયે બતાડવાને સમર્થ છે, એટલે રૂપિયાની ઈજ્જત કરો ,જો રૂપિયાની ઈજ્જત નહિ કરો તો એક દિવસ રૂપિયો તમારી ઈજ્જત નહિ રાખે ..
ગેલહાગરા જેવા વિચારો ના કરાય કે હું બધું ક્યારે ભોગવીશને આ બધું હું કેમ કરું છું અને કોના માટે ?
સંસાર માંડ્યો છે તો એને અવેરવો રહ્યો , નહિ તો સમલૈંગિક થઇ જવાનું હતું ..!!
સંસાર જ માથાકૂટ જ નહિ ..!!
ભોગવવાની નહિ માણવાની ઈચ્છા રાખવી મારી જેમ..
જીવન રસના આનંદ લેતા રેહવા બાકી તો ક્યારેક તો ૧૦૨ આપણા માટે પણ આવવાની જ છે ,પણ લોકો બોલવા જોઈએ ડોહો અઘરો હતો..!!
જિંદગી માણીને ગયો .. ભોગવીને નહિ ..!!
ભોગની સાથે વિલાસિતા આવે ..અને વિલાસિતા જોડે પતન ..પતન ઉધઈ જેવું છે ..વારેવારે ચેક કરતા રેહવું પડે નહિ તો આખું આયખું ખવાઈ જાય ત્યારે જ ખબર પડે અને પછી …૧૦૨ આવે ત્યારે ?
ખર્ચી ખાધું ડોહાએ કમાયા એ બધું ..!!
જય હો
રવિવાર છે રસ-પૂરી અને ઢોકળાનો વાર..!!
એક વાડકી રસ પીવો એને માણ્યું કેવાય અને ચાર-પાંચ વાડકી પી જઈએ અને બાકીના ઘરના માટે ના બચે એને ભોગવ્યું કેહવાય..!
માણજો ..ભોગવવાનો નહિ ઐય્યાશ ..!
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*