આઘાડી સરકારનું પતન ..!!
અકુદરતી રીતે થયેલું જોડાણ અંતે તૂટ્યું , ભાજપ અને સેના જોડે રહીને ચૂંટણી લડ્યા અને પછી અંદર અંદર બાખડ્યા, પછી જે થયું એ દુનિયાએ જોયું..!
ઉદ્ધતાઈ ક્યારેક અથવા થોડાક સમય માટે સારી લાગે, પણ પછી દર વખતે બેફામ અને ઉદ્ધતાઈભર્યું વર્તન આવે તો શું થાય ?
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માથે છે, દુનિયાના અનેક દેશો કરતા અને ભારતના ઘણા રાજ્યો કરતા વધારે બજેટ ધરાવે છે બીએમસી,
જનતાની યાદદાસ્ત પેહલા ટૂંકી હતી ,હવે સોશિઅલ મીડિયા ડફણા મારી મારીને જનતાને જુના પાપ અને પુણ્ય યાદ કરાવે છે એટલે જમીન ઉપર જીવતા લોકો સમજી ગયા કે અઢી નીકળ્યા પણ બીજા અઢી નહિ જાય..!
મેહલોમાં રાચતા ખ્યાલોમાં રહી ગયા અને એવા વેહમમાં રહ્યા કે અમે રોડ રસ્તા ઉપર ઉતરી આવીશું તો શું નું શું થઇ જશે, એમને પણ અંદાજ આવી ગયો છેવટે એટલે આવતીકાલથી મેહલનો ત્યાગ કરીએ છીએ એવી જાહેરાત થઇ,
પણ અઘરું છે હવે ફરી મેહલ મળવા, સિવાય કે કોઈ ચમત્કાર ..!
ફેસબુક લાઈવ જોયું .. મરાઠી હવે તો નેવું ટકા જેટલી સમજાય છે એટલે એટલી ખબર તરત જ પડી ગઈ કે દાળ ગળી નથી અને હજી આગળ પક્ષ હાથમાં રેહશે કે નહિ એ પણ નક્કી નથી..!!
ઘાયલ શિકારને ખુલ્લો મુકે તો શિકારી મહાઅમાત્ય મુંજાલ નહિ,
ષઠમ પ્રતિ ષાઠય્મ સો એ સો ટકા થવાનું પછી એ ગુજરાત હોય કે મહારાષ્ટ્ર ,
કૈક લોકોની કેટલા બધા વર્ષો પરીક્ષા લેવાઈ પછી કૈક પામ્યા, અને આ તો બેફામ બોલ્યા, કોઈ લેવલ બાકી નહિ , હા એટલું નક્કી કે જે થશે એ બોલ્યા વિના જ થશે..!!
કદાચ ગુજરાત ચૂંટણીની જોડે જોડે મહારાષ્ટ્રની ચૂંટણી પણ આવી જાય તો નવાઈ નહિ..!
બાકી ૨૦૨૪ની તૈયારી પુરજોશમાં થઇ રહી છે , એટલું તો કેહવું પડે કે ભાજપનો ચૂંટણી મોડ
ક્યારેય ઓફ
હોતો જ નથી..!!
સોશિઅલ મીડિયાએ હજી મહારાષ્ટ્ર પત્યું નથી ત્યાં રાજસ્થાન તરફ મોરો ઘુમાવી દીધો છે , ઉદયપુરની જઘન્ય હત્યાએ દેશ આખાના સમાજને હલાવી મુક્યો છે , જે ક્યારેય વિચારતા નોહતા એ પણ હવે વિચારતા થઇ ગયા છે અને કટ્ટરવાદનો ઉકેલ શું ? એવા સવાલ ઉપર વિચારતા થઇ ગયા છે ..!
વૈચારિક યુદ્ધ હવે ધીમે ધીમે પરાકાષ્ઠા તરફ જઈ રહ્યું છે, પ્રિન્ટ મીડિયા બિચારું અને બાપડું થઇ ગયું છે અને ઈલેક્ટ્રોનિક મીડિયા ખુલ્લેઆમ સ્યુડો સેક્યુલારિઝમની સામે ઉપાડો લેતું થઇ ગયું છે એટલે સોશિઅલ મીડિયા જેને હું સિટીઝન જર્નાલીઝમ કહું છું એ જરાય પાછું પડતું નથી..!
વૈચારિક યુદ્ધ ધીમે ધીમે જમીન પકડશે ત્યારે ખરા સંઘર્ષના મંડાણ થશે અને રાજ્યકર્તાની તાકાત , હોશિયારી ,કુનેહ ,અક્કલ ,ડહાપણ ,ધીરજ ..વગેરે વગેરે ઘણા ગુણોની ખરી કસોટી એ સમયે થશે..!
ચુપચાપ અમે તો બોયા ય નહિ ને ચાયા ય નહિ ,એમ પાંચ વર્ષ કાઢી નાખવા એ આમ જોવો તો સારો ઓપ્શન છે, પણ ૨૦૧૪ પછી એવી વૃત્તિ દેખાતી નથી,
દેશી ભાષામાં કહું તો ખીલ્લા ઉપાડવાના ચાલુ જ છે એક પછી એક..!
રમઝટ બોલી રહી છે.. એક તરફ રામ મંદિર બંધાઈ રહ્યું છે તો બીજી તરફ એક પછી એક બીજા મંદિરોના મુદ્દા ઉઠાવાઈ રહ્યા છે, રોડ રસ્તાના બાંધકામો આખા દેશમાં ઉડીને આંખે વળગે એવા ચાલી રહ્યા છે , હા આર્થિક ક્ષેત્રે ડોલરની સામે રૂપિયો ઢીલો પડ્યો છે પણ અપેક્ષિત હતું કેમ કે વૈશ્વિક ફુગાવાએ માઝા મુકેલી છે એટલે યે તો હોના હી થા ..!!
દર વખતે દુનિયાના ગમ્મે તે ખૂણે યુરોપ-અમેરિકા ભેગા થઇને રશિયાની સામે લઢે અને ખો કોઈક એકાદા દેશ નો બોલી જાય, અને જોડે જોડે આપણને પણ ક્યાંક ને ક્યાંક ચાકી ચડી જતી ,આ વખતે યુક્રેન વોરમાં આપણને બહુ લાંબી નુકસાની નો વારો નથી આવ્યો અને ઓવરઓલ પાડોશી ભિક્ષુકોની સરખામણીમાં ઘણા મજબુત રહ્યા છીએ એ બહુ મોટો પ્લસ પોઈન્ટ છે..!
છેલ્લા છ મહિના બાકી છે જો કોઈ કડક જનતાને ના ગમે એવા અળખામણા પગલા લેવા હોય તો , બાકી તો જેવું ૨૦૨૩ દેખાયું એ ભેગું ૨૦૨૪ આવ્યું સમજો પછી તો રાહત જ રાહત આપવાની છે..!!
એક બીજું બહુ મોટું ટાર્ગેટ એચીવેબલ હવે દેખાઈ રહ્યું છે અને એ છે કે દરેક નાગરિકને માથે છાપરું, જે રીતે સ્ટીલ અને સિમેન્ટને આગળ વધતા ઝાલી રાખીને બાંધકામ ઉદ્યોગને ખોળામાં બેસાડીને લાલા ને હપાક પોળી કરીને સાચવવામાં આવે છે એ જોતા ટાર્ગેટ પૂરું ઝટ થશે એવું વર્તાય છે..!
એક બીજી આશંકા પણ ખરી કે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી કેટલા સભ્યો માટે લડાશે..?
સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને પૂરો કરી નવી સંસદનું ઉદ્ઘાટન કરી અને લોકસભાના સભ્યો ની સંખ્યા વધારી અને ૨૦૨૪ની ચૂંટણી કરવામાં આવશે ?
બહુ જૂની માંગણી છે ,અને બંધારણએ સત્તા પણ આપી છે આવા ફેરફાર કરવાની , તો શું આ સરકાર આ ખીલ્લો પણ ઉપાડી જ લેશે ?
જે રીત નું એગ્રેશન છે એ જોતા એ સ્ટ્રેટેજી તૈયાર હોય તો પણ નવાઈ નહિ..!!
બાકી તો બંને ગૃહોમાં બે તૃતીયાંશ બહુમતી અને પચાસ ટકા વિધાનસભાઓમાં સત્તા , વત્તા રાષ્ટ્રપતિ કીધું કરે એવા, ભારતના દરેક રાજકીય પક્ષનો આ ટાર્ગેટ..!
કોંગ્રેસ ભાગ્યના જોરે આવો સમય મેળવી અને પસાર કરી ચુકી છે હવે ભાજપનો વારો છે , ગજ્જબ મેહનત માંગી લેશે ,પણ થઇ શકે તેમ છે અને બીજા કોઈ પક્ષ માટે આવું વિચારવું એટલે વીસથી ત્રીસ વર્ષનું ટાર્ગેટ થઇ જાય સિવાય કે કોઈ અસાધારણ સંજોગો જન્મે અને કિસ્મતનું ચક્કર કોઈનું ફરે..!!!
ભારત વર્ષમાં વડાપ્રધાન હોય કે કોઈ રાજ્યના મુખ્યમંત્રી એ બે રીતે બનાય છે એક ઘોર તપશ્ચર્યા એટલે કે મેહનત કરીને અને બીજી રીત છે કિસ્મત ..!
ગુજરાતને નરેન્દ્ર મોદી પછી કિસ્મતના ધની એવા મુખ્યમંત્રીઓ જ મળ્યા છે ,જો કે મહારાષ્ટ્રમાં અને બીજે ઘણે બધે ત્રીજી પણ એક રીત છે મુખ્યમંત્રી બનવાની અને રીત છે કુટિલ રાજનીતિ..!!
એક ટ્વીટ કરી અને કોઈકએ ડીલીટ કરી નાખ્યું .. “એક થા કપટી રાજા..”
કપટ કરીને કુટિલ રાજનીતિથી મળેલી સત્તા ઘણું બધું આપે પણ યશના અધિકારી ચોક્કસ નથી બનવા દેતી..!!
અંતમાં ..
રઘુપતિ રાઘવ રાજા રામ ..!!
સબ કો સન્મતિ દે ભગવાન..!!!
શુભ રાત્રી
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)