છેલ્લા બે દિવસથી સોશિઅલ મીડિયામાં અનંત અંબાણીના લગ્નની કલીપો બજારમાં ફરતી થઇ છે, અને જે કોઈ સોશિઅલ મીડિયા ખોલીએ છીએ એમાં બસ ચારેકોર અંબાણી જ અંબાણી છવાયેલા છે..
અદ્દભુત લગ્ન ..
મહિનાઓ પેહલા લગભગ શિયાળે સોરઠ ભલો કર્યું ,તે છેક ચોમાસે દેવપોઢી આવે એ પેહલા પાર્ટી ફેરા ફરી..!
અસરો શું સમાજમાં પડશે ?
લાંબા લાંબા લગ્ન મહોત્સવો ચાલશે ?
ના ,એ તો ખિસ્સામાં કુકા હોય એ ચલાવે જ છે,
પણ હવે સીઝન સીઝનના ફંકશનો આવશે..!
હવે થશે એવું કે શિયાળે ભારત ભલું ,ઉનાળે યુરોપ, ચોમાસે અમેરિકા ભલું ને મેક્સિકો બાર માસ રે ..!
એનઆરઆઈ માટે નવું મળ્યું .. શિયાળે આવીને એક પ્રીવેડિંગ ઇન્ડિયામાં કરી જવાનું અને પછી ઉનાળે યુરોપમાં ,જો વધારે છલકાતા હોય તો પછી અમેરિકામાં અને છેલ્લે મેક્સિકો જઈને પરણી આવવાનું એટલે પાર આવે..!
મારા તમારા જેવા માટે અનંત અંબાણીના લગ્ન એ નેટફ્લીક્સની સીરીઝ થઇ ગઈ એક પછી એક પછી એક પછી એક પછી એક પછી એક….કૈક નવું આવ્યા જ કરે માળુ ..!
જો કે આપણે રહ્યા જમણેરી મૂડીવાદના સમર્થક , રૂપિયા છે તો વાપરો ,ઈકોનોમી ફરતી તો રેહવી જ જોઈએ અને બીજી તરફ વારસાઈવેરાને પણ સમર્થન, સો કરોડથી વધારેની માલમિલકત મૂકીને જતા હોય તો પછી એનો સિંહભાગ શ્રીસરકાર જ કરવો રહ્યો..
સીધો ફર્ક દેખાય છે અત્યારે મુકેશ અંબાણી અને અનીલ અંબાણીમાં ,
ભાગ તો સરખા જ થયા હતા, પણ કોણ ક્યાં છે એના વિષે વાત કરીએ એના કરતા પ્રોફેશનલ અને લાયક મેનજમેન્ટ હોત તો આ દશા ના થઇ હોત ..
કંપનીઓ કોઇપણ ઉભી કરે પણ એમાં દેશના સંસાધનો અને માનવકલાક વપરાતા જ હોય છે એટલે રિલાયન્સની કે બીજી એવી મોટી કોઇપણ કંપની બસ્સો ત્રણસો વર્ષ પેહલા મરવાનો અધિકાર નથી ,
મહાન રાષ્ટ્રો મહાન કંપનીની પીઠ ઉપર જ સર્જાય છે ..!
એવી વાત હોય કે વારસદારોને ઓછું મળશે તો એ લોકો મેહનત નહિ કરે, તો દોસ્ત જે પીપળાને ઉગવું જ છે એ ભીંત ફાડીને પણ ઉગવાનો જ છે..!
સારા પ્રસંગે આવી પંચાતો આપણે ગુજરાતી માણસો ચોક્કસ કરીએ, ક્યાં દેરાણી અને ક્યાં જેઠાણી ..!
મોટા મોટા દેશોની રાજરાણીઓ ને શરમાવે એવો ઠસ્સો નીતાબેનનો રહ્યો અને રેહશે.. તમામ હિંદુ અને ગુજરાતી રીતરીવાજો પરંપરાઓને સાથે લઈને નવી પેઢીને પણ સાથે રાખ્યા ..
લગ્નના પ્રસંગો પત્યે આપણને પણ અણહાગરો લાગશે તો એમનું શું થશે ?
જો કે મને શ્રીમતી નીતાબેન અંબાણીને ભવિષ્યમાં પુણ્યશ્લોક રાજમાતા દેવી અહલ્યાબાઈ હોલકરના રોલમાં જોવા ગમશે, એમનામાં ભક્તિ પણ છે અને શક્તિ પણ છે, તો એ દિશમાં આત્મપ્રયાણ થાય તો સનાતન ધર્મ યુગ યુગ સુધી એમને પણ યાદ રાખશે ,ઋણી રેહશે, સનાતન ધર્મને જે રીતે આગળ કર્યો એ બહુ મોટી વાત છે..
કે. આસિફ કે સંજય લીલા ભણસાલીના સેટિંગ્સ કરતા વધારે ભવ્ય સેટિંગ્સ અને કપડા,ઘરેણા..!
એક વાત એવી આવી કે આપણને જોઈ જોઈને થાક લાગે છે તો એમને આટલા બધા પ્રસંગોમાં કપડા ઘરેણા બદલી બદલી અને લગનનું ખાવાનું ખાઈ ખાઈને થાક નહિ લાગ્યો હોય ?
આવા સવાલનો જવાબ મારું મન એવું આપે કે ભાઈ તમે અને હું જે લગનોમાં માહ્લવા ગયાને એ તમામ મધ્યમવર્ગ હતા અને છતાંય જે લગ્નોમાં ઇવેન્ટ મેનેજર રાખવામાં આવ્યા હતા ત્યાં સ્ટ્રેસ લેવલ બિલકુલ ઓછો હતો ,
અને જ્યાં શૈશવભાઈની જેમ જાત્તે કરી અને રૂપિયા બચાવી લેવાના હતા ત્યાં પ્રસંગ “બસ પૂરો કરો” ,”પ્રસંગ ઉકેલી” દેવાનો હોય “પતાવી” દેવાનો હોય એવી વાત હતી..! એટલે થાક જ્યાં પ્રસંગ લીધો છે તો પૂરો કરો પતાવી દયો ત્યાં બહુ લાગે ,
જ્યાં પ્રસંગને માણી લેવાનો છે ત્યાં થાક બિલકુલ નથી લાગતો..!
એડ્રીનાલીન ચોવીસે કલાક નસ નસમાં વહ્યા કરે..!
દુનિયાભરની શ્રેષ્ઠત્તમ ચીજો પ્રસંગોની કલીપોમાં જોવા મળી, હજી ધીમે ધીમે કલીપો આવતી જશે તેમ તેમ ડીટેઈલ્સ મળશે અને ડીટેઇલીંગ મળશે પેલું કહે છે ને “God is in details” એમ ધીમે ધીમે ભગવાન બાહર આવશે
મને આ લગ્નની બીજી એકવાત ગમી, દરેક પ્રસંગમાં માણસોની ભરપૂર હાજરી..!
અત્યારે એવું થયું છે કે પબ્લિક પ્રસંગોમાં જવાનું ટાળે છે, અનુકૂળતા નથી કે પછી બે પગ લઈને કયાંય જવું નથી શું સમસ્યા છે ? જો કે આ વિષય ઉપર તો બીજો આખો બ્લોગ લખાય તેમ છે ..
આજકાલ આમન્ત્રણને માન આપીને લોકો તમારે ઘેર આવે એ વાત જ બહુ મોટી છે..!
ઘરનો લીવીંગ રૂમ ભરાઈ જાય એટલા લોકો ઘરમાં આવે અને પાર્ટી પ્લોટ ભરાઈ જાય એટલું માણસ તમારે ત્યાં આવે એ વાતમાં બહુ મોટો ફેર છે..!
કદાચ ડેસ્ટીનેશન વેડિંગ એટલે જ વધારે ચાલ્યા છે , વેહવાર નાના કરો આમન્ત્રણ ઓછા અને લીમીટેડ પબ્લિકમાં બધું જ ગોઠવેલું એક દિવસના ત્રણ પ્રસંગો અને બે રાત ત્રણ દિવસમાં પૂરું ..બધું માણી જ લેવાનું..!
કપડા ઘરેણા લઈને જાવ અને એ લઈને પાછા કોઈ બીજું અવેરવાની ઝંઝટ નહિ..
ઘણા પિત્તળબંબાઓની દલીલ છે કે જે દેશમાં હજી લોકો ભૂખ્યા રેહતા હોય એ દેશમાં આટલો ભપકો ના હોય..ભાઈ તમે ક્યારેય હોટેલમાં જઈને કે કોઈ ના લગ્નમાં જાવ છો અને હેંત્તકનું ભરી અને આખી ભરેલી પ્લેટ ફેંકો છો ત્યારે આ જ્ઞાન ક્યાં જાય છે ?
જો કે એ પ્રયત્ન પણ કરી ચુક્યા છીએ ,ક્યારેક એવી વાત હતી કે એક ટંકનું ખાવાનું છોડી દયો તો ગરીબોને જમવા મળશે ..
આનો રસ્તો એવો છે અનાજ હોય કે જીવન જરૂરીયાતનું પ્રોડક્શન વધારે અને એના વિતરણની વ્યવસ્થા પ્રોપર ગોઠવો તો કોઈને ભૂખ્યા નહિ રેહવું પડે..
અંબાણીઓ ના કેસમાં એમણે દેશની જરૂરીયાતને સમજી છે અને પ્રોડક્શન જાયન્ટ કરી મુક્યા છે , જેની દેશ ને જરૂર હતી .. પેહલા જરૂરિયાતને સમજાવી પડે અને પછી પ્લાનિંગ કરી અને અમલ કરવો પડે , ઘેર ભેઠા મારી જેમ પટલાઈ ફૂટો તો કશું ના થાય..
ફકત ટીકા જ કરતા આવડે..
પ્લાનિંગ અને પરફેક્શન સુપરથી પણ ઉપર ..
સાલ ૧૯૮૫માં મારા ઘેર પેહલો વીસીઆર આવ્યો હતો નેશનલનો ટોપ લોડીંગ ,હજી સાચવી રાખ્યો છે , ત્યારે અમારા એક પેશન્ટ લંડનથી પ્રિન્સ ચાર્લ્સ અને લેડી ડાયેનાના લગ્ન સમારંભની વિડીઓ કેસેટ લઈને આવ્યા હતા..
ત્રણ કલાકની એ કેસેટ મેં નહિ નહિ તો પણ પાંચ-સાત વખત જોઈ હતી ,લગ્નની ભવ્યતા અને ઝીણી ઝીણી વાતો અને વસ્તુઓ..કોણે કોના ઘરેણા પેહર્યા અને કેટલું જુનું છે, કેટલી કિંમત બધું જાણ્યું ..
મોજે મોજ પડી ગઈ હતી..!
કોહિનૂરને એક વાર જોઈ લેવાનો પછી ભલે ગાળો દઈએ કે લુંટી ગયા એ વાત જુદી , પણ માણી લેવાનું..
બસ અંબાણી પરિવારને વિનંતી કે નીતાબેન અને ઈશાબેન બંને વહુ દિકરીઓ સાથે આ પ્રસંગ કેવી રીતે ઉકેલ્યો એનું પ્લાનિંગ અને પછી એક્ઝીક્યુશન કેવી રીતે કર્યું તેની એક વેબ સીરીઝ બનાવે અને એમના પેહરેલા કપડા ઘરેણાંની સાચ્ચી કિંમત પણ કહે કે કેહવડાવે..
એમ કશું ખોટું નથી હક્ક છે એમનો રૂપિયા કમાયા છે તો વાપરવાનો , મારા માટે તો કમ સે કમ ગૌરવની જ વાત છે કે અમુક હજાર કરોડના કપડા અને ઘરેણાં અંગે ઓઢીને અંબાણીઓ માહલ્યા..!
મારી આઠસો શબ્દોની મર્યાદા કરતા ઘણું આગળ વધ્યો છું કદાચ બીજો બ્લોગ પણ લખીશ .. એટલે આજે આટલું જ વિરમુ છું ..
જોતા રેહજો કલીપો અને આનંદ કરતા રેહજો ..!!
આજ કે આનંદ કી જે ..
લાડલે લાલ કી જે ..
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*
¬¬¬¬