ગાય .. ગાય ..ગાય..
આવ ..આવ .. લે રોટલી આપું ..
હડ્ડ .. હો ..હો.. એ..ઈ લાકડી લાવ તો આ ગાય રોજની પેંધી પડી ગઈ છે..
એ આજે બોળચોથ છે ગાયની પૂજા કરજો.. સરવણીમાં ગાય તો જોઇશે ..પૂંછડે પાણી દેવું પડશે ત્યારે વૈતરણી પાર થશે દાદાની..!
ગાય જોડે જોડાયેલા રીતરીવાજો, તેહવારો અને એનાથી બનેલી ભારત દેશની સંસ્કૃતિ..!
*આજે ગાય રખડતું ઢોર થઇ ગયું છે*
તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ જેમાં છે એ ગાય આજે રખડતું ઢોર થઇ ગયું ..!
બળદ નામે જોવા નાં મળે..,ખુંટીયા ઉર્ફે આખલો જેને અને તેને ઠેબે લઇ લ્યે છે..!
માણસના જીવનની કિંમત વધારે કે ગાયના જીવનની ?
કેટલો બધો વિચિત્ર સવાલ છે ..!!
ફરી એકવાર વાંચો અને તમારી જાતને પૂછો કે માણસના જીવનની કિંમત વધારે છે કે ગાયના જીવનની ?
બે ત્રણ વખત આવો સવાલ જાતને પૂછશો એટલે અકળામણ, ગુંગળામણ થશે અને પછી એમ વિચારો કે જેમાં તેત્રીસ કરોડ દેવતાના વાસ છે એવી આ ગાય છે ,
અને જેમાં નકરા વિકાર જ વિકાર ભર્યા છે એવું માનવ જીવન છે..
તો શું જવાબ મળે ?
હવે સવાલના મૂળમાં જ કુઠારાઘાત કરીએ કે આવો સવાલ પૂછવો જ કેમ પડ્યો ?
એક સમય હતો.. અને એ સમય કંઈ નાનોસૂનો સમય નહિ ઓછામાં ઓછા દસ હજાર વર્ષનો સમયગાળો હતો કે ભારતએ ગાય સાથે સહજીવન વિતાવ્યું,
લગભગ દરેક પરિવારમાં એક ગાય તો રેહતી જ ..
એવે સમયે આવો કોઈ જ સવાલ ઉભો નોહતો થતો .. કારણ તો ગાય એ માનવજીવનની પૂરક હતી, માનવજીવનનો એક ભાગ હતો..!
જશોદા કો લલ્લા ગૌઅન કા ચીરૈયા દેખો મન બસ ગયા મોરે ક્રિષ્ણ કન્હાઈ …!
લે તેરી લકરી લે તેરી કામરી .. બછરા ચરાવન હું નાહી જાઉં માઈ ..!
આવા અનેકો અનેક ગીતો, લોકગીતો ભારતની તમામ ભાષાઓ, લોકબોલી અને લોકગીતોમાં મળી આવે છે,
પણ ..પણ ..પણ ..
*વાંકુ ક્યાં પડ્યું ? ગાયો અળખામણી કેમ થઇ ?*
તો જવાબ છે શેહરીકરણ થયું..શેહરોમાં માણસ નથી સમાતા , ત્યાં પ્રાણીઓ ..? અને એ પણ ગાય જેવડું મોટું પ્રાણી ?
જો કે એમાં ગાયો કે ગોવંશનો કોઈ જ વાંક નથી જે ભૂલ છે તે આપણી જ છે..!
બીજી સમસ્યા છે અત્યારે લમ્પીની..શું થયું કે ગાયો દેશભરમાં ટપોટપ મરી રહી છે..?
તો ગાયો ના દૂધ ઉપર સૌથી પેહલો અધિકાર બાળકોનો છે.. એ વાત ને ભૂલી અને આપણે દૂધનો ઉપયોગ બેશુમાર કરતા થઇ ગયા ..!
ગાયના દૂધને વેપારમાં બદલી નાખ્યો,હોર્મોનના ઇન્જેક્શન ખાઈ ખાઈને અને બીજી થેરાપીઓ અને બદલાયેલા ખાણ ખાઈ ખાઈને ગોવંશ દૂધ વધારે આપી રહ્યો છે..
“જેનું દૂધ પી ને બાળક મોટું થાય એ દૂધ આપનાર ભલે પશુ તો પશુ પણ એ માતા સમાન છે” એવી જે ઉદ્દાત ભાવનાનું છેલ્લા દસ હજાર વર્ષમાં સર્જન કરવામાં આવ્યું હતું એને મૂળ સોતી ઉખેડી નાખી, અને ત્યાં સુધી નીચે ઉતરી ગયા કે નાહવાના સાબુમાં દૂધ ઘાલી દીધા ..!!
કમ સે કમ જાહેરાતો તો એવી આવે જ છે કે અમારા સાબુમાં દૂધ છે..!!
જે દૂધના આઈસ્ક્રીમ ખાવા અકબરની રાણીને મહિનાઓ લાગતા અને વર્ષે એકવાર માંડ આઈસ્ક્રીમ મળતો એ દૂધના આઈસ્ક્રીમ અમદાવાદની રસ્તે રખડતી ભિખારણ રોજે રોજ ખાતી થઇ ગઈ ..!!
“ભારતીયોની તાકાત હતું જે દૂધ એ જ દૂધ નબળાઈ બની ગયું, અને એ નબળાઈને પોષવા માટે થઇ શ્વેતક્રાંતિ ..!”
*દરેક ક્રાંતિના અમુક સમય પછી વિકૃત ચેહરા ચોક્કસ બાહર આવતા હોય છે..!*
આ વિકૃત ચેહરા બાહર ક્યારે આવશે એનો સમયગાળો ક્રાંતિ કેટલા જોર અને તાકાત લગાવીને થઇ છે એની ઉપર આધારિત હોય છે,
કોઇપણ ક્રાંતિ એ સમુદ્રના મોજા જેવી હોય છે દૂરથી આવતી ધસમસતી મોજા જેવી ઘણી સારી લાગે પણ એના પેટ માં શું લઈને આવે છે એ જ્યારે ક્રાંતિનું મોજું પાછું ફરે અને પાણીને પાછું લઈને જાય, જમીન ચોખ્ખી થાય ત્યારે ખબર પડે કે કેટલો ગંદવાડ કઈ ક્રાંતિ મુક્તી ગઈ ..!!
શ્વેતક્રાંતિ પૂરી થઇ ચુકી છે, વિકૃત ચેહરો બાહર આવી ગયો છે પણ હજી સામાન્ય જન સાધારણને દેખાઈ નથી રહ્યો ..
શ્વેતક્રાંતિનો વિકૃત ચેહરો એ ખુબ નાની ઉંમરે બાળાઓનો માસિકધર્મ આવવો અને પુરુષોની છાતી ઉપર લચી રહેલા સ્તન છે, દર દસ વ્યક્તિએ ત્રણ જાડી થઇ ગયેલી વ્યક્તિ છે..!! પ્રોડક્શન વધારવા ગોવંશ એ લીધેલા હોર્મોનના ઇન્જેક્શન છેક સુધી પોહચી ચુક્યા છે..!
“ગાય કે પછી બીજો ગોવંશ જેનું દૂધ વાપરી શકાય તેમ છે એ તમામ દૂધને વ્યાપારિક ઉર્ફે કોમર્શીયલ પ્રોડક્ટમાં કન્વર્ટ કરી અને ગોવંશને ભૂંડી રીતે બજારમાં ઉભું કરી દીધું તે છે..!!”
ગોવંશને કારખાનાનું મશીન બનાવી ને પ્રોજેક્ટ રીપોર્ટ બનાવી દીધો, ગોવંશને બચ્ચા પેદા કરવા મજબૂર કરવા, પછી મેઈલ ઉર્ફે નર જન્મેલા ગોવંશને તેની માતાના ધાવણથી દૂર રાખવું, પરિણામ સ્વરૂપ નર ગોવંશની રોગ પ્રતિકારક શક્તિ ક્ષીણ થઇ જાય અને અંતો:ગત્વા તેનું મૃત્યુ ..!
ખેતરમાં બળદ રહ્યા નહિ એટલે નર ગોવંશનું કશું કામ રહ્યું નહિ , કામ વિનાની વસ્તુ જેને આપણે નકામી વસ્તુ કહીએ છીએ તેનું અસ્તિત્વ જ આપણે માણસો મિટાવી દઈએ છીએ..!!
ચાકરીની ગાય એવો શબ્દ સંભાળ્યો છે ક્યારેય ?
મોટેભાગે નથી જ સાંભળ્યો..
આજે પણ ઈશ્વરના નામે અને ઈશ્વરની ગાયોના નામે જે મોટ્ટો ધંધો ચાલી રહ્યો છે એનો અંદાજ સામાન્ય જન તરીકે આપણે લગાડવો મુશ્કેલ છે,
પણ સત્યનો સ્વીકાર કરવો રહ્યો ..
હવે ક્યાં તો ગોવંશને પૂજનીય ગણવો નહિ અથવા તો પછી બાર વર્ષ પછીના મોટા થયેલા દરેક વ્યક્તિએ દૂધનો અને એની બનાવટોનો સ્વેચ્છાએ ત્યાગ કરવો કે જેથી ગોવંશ ના શરીરમાંથી નીકળતું દૂધ એ પ્રોડક્ટ તરીકે ના વેચાય અને પ્રોડક્શન વધારવા જે “ધંધા” કરવા પડે છે તે નાં કરવા પડે અને ગોવંશ શાંતિથી જીવી જાય, ટકી જાય ..
આજે પશ્ચિમના દેશોમાં બોડી બિલ્ડીંગ માટે મધર્સ મિલ્કની ટેબ્લેટ વેચાય છે , કોઈક સ્ત્રીના દૂધ જેને આપણે ધાવણ તરીકે ઓળખીએ છીએ એ દૂધને પ્રોસેસ કરી અને ટેબ્લેટ બને અને એને બજારમાં વેચવામાં આવે છે ..
બોલો શું કરવું છે ? કોઈક અજાણી સ્ત્રીના ધાવણની ગોળીઓ ખાઈ અને બોડી બનાવવું છે ?
ઉપર ઈશ્વર છે..અને એ છે કે નહી.. પણ માંહ્યલો તો છે કે નહિ ?
આપણો દૂધનો બેફામ વપરાશ ઉત્પાદન વધારવા તરફ લઇ ગયો ગોવંશને ,અને હવે શેહરોમાં જગ્યા પણ નથી બચી એમને સાચવવાની ..
કદાચ લમ્પી વાઈરસ ભગવાને એટલે જ મોકલ્યો છે ..
ભલે લઇ જતો એના ગોવંશને એની પાસે..
લમ્પીને એક વોર્નિગ તરીકે જોવાની જરૂર છે, ગાયોની રોગપ્રતિકારક શક્તિ વધારવા હોર્મોન અને બીજી થેરાપી તાત્કાલિક બંધ થવી જોઈએ નહિ તો પછી આજે “લમ્પી” સામે ગોવંશ ઝીંક ઝીલી ગયો તો પણ ભવિષ્યમાં કોઈ “તમ્પી” સામે ઝીંક નહિ લઇ શકે પછી કારખાનામાં દૂધ બનશે અને આવનારી પેઢીને ફોટામાં ગાય બતાડવી પડશે ..!
બળદને પણ જો ખરેખર જીવાડવો હોય તો એની પાસે કામ લઇ લેવું પડે, ઘાંચીની ઘાણીને બળદ ફેરવતો તો એ ઘાણીની જગ્યાએ `ડાયનેમો` ફીટ કરો અને વીજળી પેદા કરાવો *“બળદ-વીજળી”*, બાકી એનું છાણ ગોબર ગેસ આપશે ..!
કંઇક ફાયદો થતો દેખાશે તો જ માણસ જાત ગોવંશ ને જીવવા દેશે ..
વિચારજો તમે પણ
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*