મંદિરમાં ફોટા પાડવાની મનાઈ છે ..
શું થયું ? કેમ ?
જબરું ચાલ્યું છે ..
હકીકતે તો એવું હોવું જોઈએ કે વિધર્મીઓ પ્રવેશ કરવો નહિ ..
વિધર્મીઓએ ફોટા પાડવા નહિ અને તેનો ઉપયોગ તો ધરાર નહિ કરવાનો..
રાજા રવિ વર્માએ સૌથી પેહલા ભગવાનના ચિત્રો બનાવ્યા અને છાપ્યા તે પછી ભગવાન સામાન્ય માણસને ઉપલબ્ધ થયો, ત્યાં સુધી ભારતમાં વસતા અને હિંદુ જીવનશૈલીથી જીવતા લાખ્ખો લોકોને માટે દેવ દુર્લભ હતા,
મંદિરની બહારથી એમણે ભગવાનને “જોવાનો” રેહતો..અને પોતાની કલ્પના પ્રમાણેનો જ દેવ કલ્પી અને પૂજા કરવાની રેહતી..અને આજે હજી પણ રોજ કેટલાય મંદિરો આખા ભારતભરમાં ફેલાયેલા છે જ્યાં ગર્ભગૃહમાં જન સાધારણના પ્રવેશ નિષેધ છે..
ભગવાનને “બાંધી” લીધા પછીના પરિણામો જોયા નથી ? હજી શું જોવાનું બાકી છે ?
જાતિના ઝઘડા ઓછા છે ?
હિંદુ એકતાની વાતો થાય છે પણ પેહલા `ભગવાનના ભગવાન` બનવાનું તો છોડો..
કેટલા બધાને કેટલું બધું ઓછું પડ્યું, અને એ બધું હકીકત હતી જરાય ખોટું નથી, તો હજી મંદિરના ગભારામાં નહિ, જવાનું ફોટા નહિ પાડવાના, આ બધું કેમ ?
પાછળ જવું જ છે તો સીધા પાછળ જાવ કે મંદિરના ગભારામાં સીવેલા વસ્ત્ર જ નહિ પેહરવાના .. દેશ છોડ્યા વેશ છોડ્યા પછી શેની આ બધી હજી ચાંપલાશપટ્ટી ?
આપણી મજા જ એ છે કે આપણો ઈશ્વર પણ આપણી જેમ આકાર ધરાવે છે, સાજ શણગાર સાજે છે, તો પછી ભલેને જગત ફોટા પાડતું..
આજે મારો દ્વારિકાનો નાથ રોજ સવાર પડ્યે શણગાર સજીને બેઠો હોય છે અને રોજ એને કેમેરા ટેકનોલોજી દ્વારા લાઈવ દર્શન કરવાય છે, તો મારા જેવા લાખ્ખો લોકો દર્શન કરે છે અને એ જ રીતે મારો દેવાધિદેવ મહાદેવ , રોજે રોજ સોમનાથના દર્શન લાઈવ કરી લઈએ તો ખરેખર સોમનાથમાં બેઠાની અનુભૂતિ થાય છે..
ત્યાં ભીડમાં કુચ્ચાવી મર્યા વિના હરિહર બન્ને ને મળી લેવાય છે..
સિક્યોરીટીનું કારણ હોય તો એનો તોડ છે જ ..
એર ક્રાફ્ટમાં પણ મોબાઈલ લઇ જવા દેવામાં આવે છે તો હવે મંદિરોમાં કેમ નહિ ?
મેં જે મંદિરોમાં મોબાઈલ લઇ જવાની “પરમીશન” છે એ જગ્યાએથી ઘણા લોકોને પોતાના સ્વજનોને વિડીઓ કોલ કરાવીને પરદેશમાં બેઠેલા સ્વજનોના દર્શન કરાવતા જોયા છે … અરે આજે જ સમર્થેશ્વર મહાદેવમાં ઉભો હતો ત્યારે દિકરીનો અમેરિકાથી વિડીયો ફોન આવ્યો અને દર્શન કરાવ્યા..
દરેક મંદિરોના લાઈવ ટેલીકાસ્ટ શક્ય નથી અને દરેકની આસ્થા દરેક મંદિર સાથે જોડાયેલી નથી હોતી..પણ મંદિરમાં જવાથી લાખ્ખો લોકોને શાંતિનો અનુભવ થાય છે, કબૂલ કરવું રહ્યું..એક સાયકો થેરાપીની જગ્યા છે મંદિર , જ્યાં ઈશ્વરને હાજીર-નાજીર જાણી અને પબ્લિકનું સેલ્ફ હિલીંગ થાય છે,
સાચું જાણજો આવી સુંદર જગ્યા જગતમાં બીજી કોઈ જ નથી..જ્યાં દર્દીને ખબર જ નથી કે એ દર્દી થઇ ચુક્યો છે અને ઈશ્વરને મળીને પોતાના દર્દની પોતાની દવા જાત્તે જ કરી રહ્યો છે..
બધેથી હારીથાકીને આવતો માણસ છેવટે ઈશ્વર ઉપર બધું મૂકી અને બીજા દિવસે સવારે કામે લાગી જાય આવું તો બીજી કઈ જગ્યાએ બને ?
અચ્છા અચ્છા મનોચિકિત્સકને ફીણ ચડી જાય આટલું કામ કરતા અને સમજાવતા તો, અને એ જ કામ પાંચ મિનીટ કે દસ મિનીટની મંદિરની મુલાકાત કરે છે એ બધ્ધું સાચું પણ એના માટે રોજ તીર્થ સ્થાને ના દોડયા જવાય, ઘરઆંગણના મંદિર પકડાય..!
જો કે અત્યારે ધાર્મિક ટુરીઝમનો વાવર વાયો છે..
બહુ જ ખતરનાક ટ્રેન્ડ છે .. જરાક થોભી અને જોવાની જરૂર છે, પેલો મેસેજ મને સાચો લાગે છે કે ઘરને આંગણે મંદિરમાં વર્ષોથી ગયો નથી અને કેદારનાથ દર વર્ષે હેંડ્યા જાય છે..!!
યાત્રાના કષ્ટો દૂર ઘણા કર્યા ,પણ હવે એ જ કષ્ટ આપી રહ્યા છે..
જુનાગઢમાં હમણાં માનવ મેહરામણ તૂટી પડ્યો અને એક સિંહ બાળના મોઢામાં તૂટેલી ચપ્પલ હોય તેવો ફોટો સામે આવ્યો..
આ બધું શું છે ? આટલી બધી ગંદકી વેરવાની ?
કષ્ટ કાપ્યા તો કષ્ટ આપ્યા…?
સિંહના મોઢા સુધી ચપ્પલ પોહચ્યા ? આ છે આપણું ટુરીઝમ ? આ આપણી ધાર્મિક ભાવના ?
એક વાત કબૂલ કરવી પડે કે દરેક વ્યક્તિ દરેક વસ્તુને લાયક નથી હોતો..!
અહિયાં રોકવા રહ્યા, શિસ્ત લાવવી રહી અને જનતા ના માને સમજે તો મારીને શિસ્ત મનાવવી પડે..!
ધાર્મિક સ્થાનો ઘણા ચોખ્ખા થયા છે પાછલા એક દસકામાં, પણ ભીડ એ ભયંકર ખાનાખરાબી કરી છે ..
આવા સંજોગોમાં દરેક મોટા મંદિરોના લાઈવ ટેલીકાસ્ટ ખરા ભક્તને ત્યાં હેંડ્યા આવતા રોકે છે, લગભગ દર પૂર્ણિમાએ પૂનમ ભરવાવાળાઓની લાઈન લાગે છે ..
વિચારવું પડે તેમ છે .. ભીડ કાબુ બાહર જાય છે મંદિરોમાં ..!
ભીડને ઘરના નજીકના મંદિરે વાળવી રહી ,નહિ તો યાત્રાધામોની આજુબાજુના પર્યાવરણની બેન્ડ વાગી જશે..!
લગભગ દરેક ધાર્મિક સ્થાનો ઉપર નકરો ઉન્માદ દેખાય છે..
“જેટલા ફોટા પાડી જવા હોય એટલા પાડી અને હેંડતો થા, નેક્ળી ના પડે આમ દર ત્રીજા દિવસે..”
ઈશ્વર એ આંતરિક બાબત છે દરેક વ્યક્તિની ..
દુઃખ અને સુખ દરેકના જીવનમાં આવ્યા જ કરે ,
આપણી સંસ્કૃતિની એ સુંદર રચના છે કે આપણે સુખમાં પણ ઈશ્વરને યાદ કરીએ છીએ અને દુઃખમાં ..!
સુખમાં તો ઈશ્વરને ઘેર નિમંત્રણ આપીને બોલાવીએ છીએ, ધાર્મિક અનુષ્ઠાન આપણા ઘેર કરીએ છીએ અને દુઃખમાં એના ઘેર જતા રહીએ .. અને મારા જેવો મંદિર ગણવાનો “વ્યસની” ગમ્મે ત્યારે ..જો કે મારે તો સપ્તકમાં બેઠો હોઉં અને માલકૌંસ ચાલુ થાય તો પણ મારે માટે સાક્ષાત દેવાધિદેવ આવીને ઉભા રહી જાય..!
જેટલા ફોટા પાડવા હોય તેટલા પાડવા દો અને તમામ મોટા મંદિરોના લાઈવ ટેલીકાસ્ટની વ્યવસ્થા ગોઠવી દયો બાપલીયા જેથી ભીડ ત્યાં ઓછી થાય..!
ટુરીઝમ એ શબ્દ જ ખોટો છે ધાર્મિક સ્થાન માટે..
વસ્તી અત્યારે બીજાને બતાડવા વધારે જાય છે અને જોવા ઓછું..
ભીડ ઘટાડવી જ રહી ..!
વિચારજો ,
શુભ રાત્રી
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*