“રેઝર બ્લેડાસ્ત્ર”
નેન્સીબેન તાઈવાન ફરવા ગયા અને દુનિયાને એક નવી રણભૂમી મળી..!!
આપણને એમ થાય કે “બોન સુ હ
વાદ લેવા ત્યાં આખો તામઝામ લઈને ફરવા ગયા હતા..? ”
કદાચ દુનિયામાં પેહલીવાર આવું જોખમ લઈને કોઈક રાજનેતા આવી રીતે તાઈવાનની ભૂમિ ઉપર ઉતર્યા હશે ..!
ઢગલાબંધ ફાઈટર જેટના વળાવિયા, નીચે દરિયામાં વિમાનવાહક જહાજો એમના ભાથામાં હજારો મિસાઈલ્સ ભરી ભરીને દરિયા ધમરોળે, ઉપરથી અવકાશમાંથી ભલું હશે તો કેટલાય સેટેલાઈટમાંથી કેમેરા ચાકચોબંધ નજરો રાખે ..!!
ઓહોહો..હો .. બહુ કરી તમે તો ભા ..! નેન્સીબેનના એક આંટા પછી જે ચીન દેશ આખો ભૂરાંટો થયો છે કે આખા તાઈવાનને ઘેરો ઘાલ્યો છે ..જાણે સધરા જેસંગ એ જુનાગઢને ફરતે ઘેરો ઘાલ્યો અને રા
ખેંગારને નમાવીને રાણકને લઇ જ જાવ હવે તો…!!
યુદ્ધ યુદ્ધ યુદ્ધ … દુનિયા થાકી છે હવે પણ આર્થિક સામ્રાજ્યવાદના અસ્તિત્વને સ્વીકારવા હજી વિચારકો તૈયાર થતા નથી , સામ્રાજ્યવાદ હતો અને દેખીતો હતો ,એની સામે પાડીને દુનિયા લડી ક્યારેક એક થઇને અને ક્યારેક જુદી જુદી રીતે દુનિયા લઢી , પણ ઓવરઓલ એ સમયે સલ્તનતે બ્રતાનીયાની હાકેમ મહારાણીને એટલો અંદાજ આવી ગયો કે યુનિયન જેકને હવે ઉતારી લ્યો , સૂરજને હવે આથમવા દ્યો હવે અમારા સામ્રાજ્યમાં , હવે વધુ કરીશું ત્રાસ તો દુનિયા ક્યાં તો પોતે મરી જશે અને ક્યા તો અમને મારી નાખશે , માટે વાવટા સંકેલો …!
સામ્રાજ્યવાદના પતન પછી દુનિયામાં એકદમ છુપા પગલે આર્થિક સામ્રાજ્યવાદ ઘાલી દેવામાં આવ્યો, રાજકીય ઈતિહાસ લખતા ઈતિહાસકારોને હજી પણ થેક નથી લેતી કે આ આર્થિક સામ્રાજ્યવાદ શું છે …!!
અને થયું છે એવું કે અહિયાં ભારત દેશે કોઈને “હમજણ” પડે એ પેહલા આર્થિક સામ્રાજ્યવાદનો વિસ્તાર એટલો મોટો કરી મુકવામાં આવ્યો કે સમજવા માટે અનેક અનેક દિમાગ કામે લગાડવા પડે ,એમાં હવે “એઆઈ” ઉર્ફે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ ઘુસાડી મુક્યું છે એટલે હવે બધું અશક્ય થઇ ગયું છે..!!
તાઈવાન અને વુહાન આ બંનેની સરખામણી આજે જરૂરી છે, તાઈવાન પણ સેમી કંડકટરની ચીપ બનાવવામાં અગ્રેસર છે અને વુહાન હતું ..!!!
ફરી વાંચો ઉપરની લાઈન…!!
પચ્ચીસ વર્ષથી ઇલેક્ટ્રોનીક્સ ફિલ્ડ જોડે ઝુડાવું છું , આપણે ત્યાં અત્યારે શું ચાલી રહ્યું છે એ ના પૂછશો, પણ ચીપ બનાવવી એ ખાવાના ખેલ નથી, એકલા રૂપિયા ડોલર નાખ્યે ચીપ બને નહિ , એવું કેહવાય છે કે વુહાનમાં પેહલા કોરોનાના વેવમાં જે એન્જીનીયર ઉકલી ગયા એવ બીજા એન્જીનીયર તૈયાર થતા વર્ષો લાગી જશે અને પડ્યા પડ્યા મશીનો પુરા થઇ જશે..!!
કારખાનું ક્યાં તો ખાય અને ક્યાં તો ખવડાવે ,આ એક સાદો નિયમ છે , ચાલુ કારખાનું ખવડાવે બંધ ખાય ..! એકલા મશીનો લાવી મુકવાથી કારખાના ચાલે નહિ ,જોડે એ મશીન ચલાવનારા અને પ્રોપરલી ચલાવનારા પણ પેદા કરવા પડે ,જેના માટે મશીન ચલાવનારાના “ફંડા ક્લીયર” હોવા જોઈએ..!
ઘેટાં બકરે સેમી કંડકટર ના બને ..!!
ખૈર .. દુનિયાને ઘઉંની તંગી દેખાઈ એટલે યુક્રેનમાં બાઝણું ઢીલું મુક્યું , હવે સેમી કંડકટરમાં કૈક દેખાશે એટલે ત્યાં ઢીલું થશે પણ ચારેકોર સળગતું ચોક્કસ રાખશે..!
જૂની રણભૂમિ અફઘાનિસ્તાનમાં જઈને અલ જવાહરીને કાપી આવ્યા ..!!
આ માળું હારું અચરજ છે..એવું મિસાઈલ માર્યું કે જેમાંથી રેઝર બ્લેડો નીકળી અને અલ જવાહરીના કટકા થઇ ગયા ..!!!!!!!!
આખે આખા મકાનને કશું ના થયું ..!!!
“રેઝર બ્લેડાસ્ત્ર” આવું નામ અપાઈ જાય આપણે ત્યાં તો ,અને છાપામાં મથાળા મારી દે “રેઝર બ્લેડાસ્ત્ર” થી ફલાણા ત્રાસવાદીનો અંત ..!!!
હવે આવું “રેઝર બ્લેડાસ્ત્ર” જ કેમ માર્યું ? એમના ભાથામાં તો એક થી ચડે એક એવા અસ્ત્ર શસ્ત્ર હાજર છે તો આવું “રેઝર બ્લેડાસ્ત્ર” કેમ ?
તો જવાબ એવો આવી શકે કે અમને જે નડે છે એને હવે આવી રીતે પણ પતાવી દઈએ છીએ , અમે વીસ વીસ વર્ષે પણ પતાવટ કરી અને હિસાબ સરભર કરી લઈએ છીએ, કોઈ ને છોડતા નથી અને કશું અમે ભૂલતા નથી..!!!
સ્પષ્ટ સંદેશો ..!!!
એવું દુનિયામાં બોલાઈ રહ્યું છે કે પાકિસ્તાને ગદ્દારી કરી અફઘાન જોડે અને બાતમી આપી દીધી હતી ..!
બોલો ગદ્દારી ..???
લોહીમાં જ છે , એનું અસ્તિત્વ જ એમાંથી સર્જાયું છે ઝીણાએ મો.ક. ની જોડે રહીને ચોકો જુદો કર્યો અને તમે પેદા થયા ,બાકી એમાં હતું શું ?
આર્થિક સામ્રાજ્યવાદના અજગર ભરડામાંથી બાહર નીકળવા આવી ગદ્દારી કરી એવું બોલાય છે ..!!
આર્થિક સામ્રાજ્યવાદએ ભારત દેશની ચારેબાજુ એક પછી એક નાના નાના કિલ્લા પાડી પાડીને સર કરી લીધા છે, ભારત દેશ હજી અડીખમ છે પણ ચેતવા જેવું ચોક્કસ કેમ કે આપણે ઉદારીકરણના નામે ખાળના ડૂચા અને દરવાજાના બારણા બધું કાઢી મુક્યું છે..!!!
વધારે પડતું બધું સીસ્ટમમાં લાવી મુકવાથી ક્યારેક આખી સીસ્ટમ જ કોઈ ને હાથ જઈ ચડે તો ..????
ઔરંગઝેબના સમયમાં ભારત દેશની તમામ મૂર્તિઓ ના નાક કાન કાપી લેવામાં આવ્યા હતા પણ રાણકી વાવ ભોં માં ભંડારેલી હતી એટલે બચી ગઈ ..!!!
અજંતા ઈલોરા અંગ્રેજો એ શોધી કાઢી પછી શું થયું તો કહે “વાસુ-સપના” લખાઈ ગયું એની ઉપ્પર …!!
સમજાયું કશું ?
ભોં માં ભંડારેલુ બધું કાઢીને સીસ્ટમમાં લવાય નહિ ..!!!
માણેકચોકમાં ચાદર પાથરવામાં આવે તો પેહલા લોકો પેહરેલા ઘરેણા ઉતારીને મૂકી દેતા પણ ઉતારવા માટે અંગે ઘરેણા હોવા જરૂરી છે , મોંઘા મોબાઈલ ફોન ના ઠોબરાં કોઈ કામ નહિ લાગે ..!!
આર્થિક સામ્રાજ્યવાદ નો એક બહુ મોટો નોહર જેણે બચત ને બીજો ભાઈ અને ત્રેવડ ને ત્રીજો ભાઈ કીધો એ આપણી પાસેથી છીનવી લીધો ..!
હજી પણ જનતા જ્યાં અને ત્યાં મિલકતો ઉર્ફે ફ્લેટો અને દુકાનોમાં ઇન્વેસ્ટ કરે છે ..!
એનું આયુષ્ય કેટલું ?
તો ફરી એકવાર હવેલી ઉમર સાઠ સાલ ઔર સલ્તનત કી સૌ ..!!!
તેજી ને ટકોર .. બાકી તો રીલ્સ જુવો રીલ્સ દિવસ પૂરો થઇ જશે હોં ..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)