![]()
ગયા વિકએન્ડમાં બે દિવસ ભારતીય વિચાર મંચ દ્વારા આયોજિત એક સેમીનારમાં જવાનું થયુ..બહુ મજા આવી,એક એક વક્તા મહાજ્ઞાની હતા અને મારી ભાષામાં કહું તો એક પુસ્તક વાંચવુ એ મારા માટે શેરડીનો સાંઠો ચૂસવા બરાબર છે,ત્રણ ચાર કલાક શેરડી નો સાંઠો ચુસીએ અને એક વાડકી માંડ મીઠી શેરડીના રસનો આનંદ લઈએ..પણ આ સેમીનારના વકતાઓ એમના એક કલાકના વક્તવ્યમાં આખે આખો શેરડીના રસનો ગ્લાસ પીવડાવી દેતા હતા..!
દરેક વક્તાના વક્તવ્યમાં જીવનભરના વાંચન અને અનુભવનો નીચોડ હતો..!
અદ્દભુત .. અદ્દભુત .. બીજો કોઇ શબ્દ નથી ..!
વિષય હતો “ઔપનિવેશિકતા સે ભારતીય માનસ કી મુક્તિ”..ઘણા બધા મારા જેવા હશે કે જેને માટે આ શીર્ષક જ નવું લાગે,અને “ઔપનિવેશિકતા” શબ્દ બોલતા બોલતા જ જીભ અટવાઈ અને લોચે ચડી જાય કે આ વળી કઈ બલા છે “ઔપનિવેશિકતા”..
ચાલો મારા જેવા “અંગ્રેજો” માટે અંગ્રેજીમાં લખુ Decolonisation of Indian Mind..
હાશ હવે ટપ્પી પડી..!
હજી આ સેમીનારના હેંગઓવરમાંથી બહાર નોહતો આવ્યો અને યોહાન(જોહન) [અસલી ક્રિશ્ચન “જ” ની બદલે હમેશા “ય” બોલે કેમકે “જ” ફક્ત “જીસસ” માટે રીઝર્વ રાખેલો છે,એટલે જેટલા “જોહન” છે એ બધાને ઉત્તર યુરોપ “યોહાન” કહે છે] બીશપની એક કલીપ આવી અને એમાં જે બ્રિટીશરોની ખેંચી છે બાકી મજા આવી ગઈ..!
હવે હું મારી વાત કરું કે હું કેટલો કોલોનાઈઝ્ડ છું તો મને એની પણ ખબર નથી પણ હા એટલું નક્કી કે હું એક બ્લેસ્ડ ચાઈલ્ડ છું અને મને ભારત પણ જોવા જાણવા મળ્યું અને ભારત બહારની દુનિયા પણ, એટલે કોલોનાઈઝડ સ્ટ્રક્ચર ને જમીન પર અને ચોપડીમાં બને જગ્યાએ જોયું અને ભણ્યો પણ ખરો..
મને મારું બીએસસી, એમએસસીનું ભણતર સંપૂર્ણ કોલોનાઈઝ્ડ લાગ્યું અને મારું સંગીતનું ભણતર બિલકુલ કોલોનાઈઝ્ડ એક્ટીવીટીથી દુર લાગ્યું, હા સંગીતનું ભણતર મને ઇસ્લામિક અસર હેઠળનું બહુ લાગ્યું..
આમ જોવા જઈએ તો પાછલા બસ્સો અઢીસો વર્ષમાં ભારતનું કોલોનાઈઝેશન અંગ્રેજો અને એમના કરતા સવાયા એવા અંગ્રેજ આપણા ખુબ ભણેલા લોકોએ ભારતનું કોલોનાઈઝેશન વધારે અને બહુ ઝડપથી કરી નાખ્યું..
જો કે એમાં ઘણો બધો વાંક આપણો પોતાનો પણ છે અને આપણી સંસ્કૃતિનો પણ ખરો..
સંસ્કૃતિ હમેશા સ્વભાવથી જન્મે અને ઉછરે..
આપણો સ્વભાવ એવો છે જે આવે અને મળે તેને સ્વીકારી લઈએ છીએ,અને જેમ જેમ લોકો આવતા ગયા તેમ તેમ સ્વીકારતા પણ ગયા અને સંસ્કૃતિ બદલાતી ગઈ, જે આવ્યા તેને આપણામાં ભેળવતા ગયા અને આપણે પણ એમનામાં ભળતા ગયા..
ભૂલ ત્યાં થઇ કે આપણે આક્રમણકારી અને લુંટારાના ભેદને ઓળખીના શક્યા અને બરબાદ થયા, બધી જ રીતે..!
ઈતિહાસ એવું કહે છે કે ભારતવર્ષ(ઉપમહાદ્વીપ) પર સદીઓથી નવી નવી પ્રજાએ આક્રમણ કર્યા અને દરેક પ્રજા પોતાની સાથે પોતાની સંસ્કૃતિ અને ભાષા લેતી આવી, શરુ શરુમાં નવી આવેલી પ્રજાએ જૂની પ્રજાને કનડી પોતાની વિચારસરણી થોપવાની કોશિશો કરી પણ છેવટે આવેલી પ્રજા મૂળધારામાં ભળી ગઈ..
પણ છેલ્લા સાતસો વર્ષ ભારત માટે ખતરનાક નીવડ્યા ઘણું બધું તેહસનેહસ થઇ ગયું..! જેને બ્રિટીશર અભણ ગણાતા એવી પ્રજા પોતના અસ્તિત્વની લડાઈ પણ લડવાનું ભૂલી ગઈ અને બસ મારે જીવવું છે.. કેવી રીતે જીવવાનું એ તમે નક્કી કરો એવી ભયાનક પરિસ્થિતિમાં આખો ઉપમહાદ્વીપ આવી ગયો..!
શરૂઆતના ઇસ્લામિક શાસકો ફક્ત અને કફત આક્રમણખોર હતા એમને કોઈપણ જાતના શાસન કરવામાં કે કોઈ સંસ્કૃતિ ઉભી કરવામાં બહુ રસ નોહતો, જે આજે સીરિયા અને લેબેનોનમાં થઇ રહ્યું છે તે ત્યારે હિન્દુસ્તાનમાં થતું..
એક ઇસ્લામિક લેખક રૂમાના સિદ્દીકીનો નાનકડો આર્ટીકલ વોટ્સ એપ આવ્યો છે બહુ સરસ લખે છે..તેઓ સવાલ પૂછે કે છેલ્લા ૧૪૦૦ વર્ષથી દુનિયા એ કયો હક્ક તમને નથી આપ્યો કે તમે આખી દુનિયા જોડે અને અંદર અંદર ઝઘડ્યા કરો છો..?
પણ બ્રિટીશર મગજમાં ફાંકો લઈને આવ્યા હતા અને એ ફાંકો હટતો માઈટ ઈઝ રાઈટ..અમારા સિવાયના લોકો “અબુધ” અને “અભણ”..અને ઇસ્લામિક શાસકો અને આક્રમણોથી લડી લડીને થાકી ગયેલી આપણી પ્રજાએ સ્વીકારી લીધું કે ભાઈ તમે સાચા ચાલો માન્યું,પણ અમને શાંતિ આપશો..? અને અંગ્રેજ એ હા પાડી..!
બસ પત્યું, તરત જ “ધોતિયા” કાઢીને ફેંકી દીધા અને “પેન્ટ” ચડાવી દીધા, સ્વીકારી લીધા,અને બધી જ રીતે કોલોનાઈઝેશન થઇ ગયું..
આજે પણ ભારતમાં કેહનારા લોકો છે કે આવા સ્વરાજ કરતા અંગ્રેજ સારા હતા અને આપડે પણ બોલીએ છીએ કે હવે એક ઝાટકે પાકિસ્તાનને પૂરું કરો એટલે કાયમની શાંતિ..!
તકલીફ છે આ વાક્યમાં..અંગ્રેજ સારા લાગે છે ગુલામીની ટેવને શિસ્ત માની લીધી અને પાકિસ્તાનમાં આપણે એક “ઝાટકે” પૂરું કરી અને “કાયમની શાંતિ” લેવી છે,
નથી શક્ય,
એક લાંબી લડત કરવી પડે તેમ છે કેમકે જેહાદના નામે સદીઓ સુધી લડતા રેહવાની વાત છે..બધું સ્વીકારવા ટેવાયેલા આપણે કાયમની શાંતિ માટે કદાચ આપણે તો જેહાદ પણ સ્વીકારી લઈએ પણ જેહાદ પૂરી થઇ ગઈ પછી શું..?
મસ્જીદો પરથી સતત વાગતા ભૂંગળાને સ્વીકારી લીધા અને નવરાત્રીમાં બાર વાગ્યે ગરબા બંધ થયા, પણ કજિયાનું મોઢું કાળુ..!
બેક ટુ જેહાદ, જેહાદ પૂરી થઇ પછી શું ? તો એનો જવાબ નથી મળતો, અને જે જવાબ મળે છે બિલકુલ લોજીકલ નથી,માટે આપણે જેહાદ નો વિરોધ કરીએ છીએ (આ “આપણે” શબ્દમાં ૧૯૪૭માં ભાગલા પછી ભારતના બિનસાંપ્રદાયિક બંધારણમાં ભરોસો રાખીને ભારતમાં રહી ગયેલા મુસ્લોમોનો પણ સામેલ છે)
સીરિયા અને લીબિયામાં ચાલી રહેલી “જેહાદ”નો અસ્વીકાર કરીને લોકતંત્રમાં વિશ્વાસ રાખ્યો છે એ પાંચસો વર્ષના ઇસ્લામિક શાસનમાંથી બહાર આવવાનો એક જેન્યુન પ્રયત્ન છે, બહુ સારી વાત છે..
પણ કોલોનીઅલ માઈન્ડ સેટમાંથી બહાર આવવું બહુ જ અઘરું છે અને એનું કારણ છે લોર્ડ મેકાલે માથે મારેલી શિક્ષણ પદ્ધતિ,
ચીન અને રશિયા પોતાની ભાષામાં શિક્ષણ આપી શકે છે, જયારે આપણે અંગ્રેજીના મોહતાજ છીએ..જોકે રશિયા તો કોલોનાઈઝ થયું જ નથી રાણીના માસીના દીકરા ભાઈ રશિયન ઝારને મારી ને સત્તા ઉપરથી ઉતારી મૂકીને રશિયાએ બ્રિટીશને પોતાનાથી દુર જ રાખ્યા, નસીબવાળા એ ટાઈમે ઝારનો ફેંસલો પાડી દીધો..!
મેકાલની પદ્ધતિમાં મને કેમેસ્ટ્રી, ફીસીક્સકે બાઓલોજીનું ગુજરાતીકરણ કરવાનું કોઈ કહે તો આજે મને ચક્કર ચઢે..સાલો મીથેન એ મીથેન જ છે, એચ ટુ ઓ નું પાણી કરું, ઇથોનોલનું ગુજરાતી દારૂ, સોમરસ એવું ઘણું થાય પણ ઓક્ટેનોલને શું કેહવુ..?
સાબરમતીમાં બહુ પાણી વહી ગયા હવે તો..એ પણ નર્મદાના…!
આપણી કોઈપણ ભાષામાં સાયન્સનું શિક્ષણ લગભગ અશક્ય છે, કોમર્સ..ત્યાં પણ પ્રોબ્લેમ છે, કાયદામાં..તો વાત થાય તેમ નથી એશી ટકા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજોને લોકલ ભાષા નથી આવડતી,દક્ષીણના જજોને હિન્દીના પણ લોચા છે એટલે જખ મારીને અંગ્રેજીને “પાળવી” પડે એવી હાલત છે..!
મને મેકાલની શિક્ષણ પધ્ધતિની બહાર જઈ પણ શિક્ષણ મળ્યું છે અને એ છે ગુરુ શિષ્ય પરંપરા..ભારતની સદીઓ જૂની અને સ્વીકારેલી પરંપરા આ ગુરુ શિષ્ય પરંપરા..”ભારતીય શાસ્ત્રીય સંગીત” જ્યાં બિલકુલ અંગ્રેજી દખલ નથી થઇ..!
એકય રાગ રાગીણીને વિક્ટોરિયા રાગ કે જ્યોર્જ રાગ એવું અંગ્રેજ નામ નથી મળ્યું કે નથી અંગ્રેજએ એને વટલાવવાની કોશિશ કરી, હા ઇસ્લામિક શાસનમાં જબરજસ્ત પ્રયત્નો થયા સંગીતકારો તો વટલાયા,રામતનુ પાંડે થયા તન્નાસેન ઉર્ફે મિયાં તાનસેન થયા,વાદ્યોમાં પણ ભરપુર કોશિશ થઇ વીણા સિતાર થઇ અને પખવાજ કપાઈને થયા તબલા પણ મૂળ જે સ્વરો છે સા રે ગ મ પ ધ ની .. એ ત્યાના ત્યાં જ રહ્યા..! અને શીખવાડવાની પરંપરા ગુરુશિષ્ય પરંપરા જ રહી..!
લગભગ આપણી દરેક લોકકલા અને આદિવાસી કબીલા પણ કોલોનીઅલ આક્રમણથી અછુતા રહ્યા..! એ સિવાય દરેક વસ્તુ કોલોનીઅલ થઇ ગઈ..!
આજે ખરેખર શોધવું પડે એમ છે કે આપણી ઓરીજીનલ વસ્તુ કઈ..?શાસન પ્રણાલી..?શિક્ષણ ?ન્યાય ? ચિકિત્સા ?લશ્કર ?ધાર્મિક?સાહિત્ય ? કલા ?
કઈ પ્રણાલી (સીસ્ટમ) એવી છે કે જેને આપણે એમ કહી શકીએ કે આ સીસ્ટમ અમારી પોતાની અને પ્યોર છે..?
એટલે જો ખરેખર ડીકોલોનાઈઝ થવુ હોય તો શરૂઆત જ્યાંથી બચ્યું છે ત્યાંથી જ કરવી પડશે..
બચેલી લોકકલા અને સંગીતને ફરી એકવાર માવજત આપીને ઉગાડવી પડે અને એમાં સહાયતા જોઈએ ધાર્મિક ટ્રસ્ટોની..અને ત્યાંથી ધીમે ધીમે આગળ વધતા જઈને કડે કડે બધું ઉકેલવુ પડે ત્યારે દુનિયાને સમજાવી શકાશે કે અમે કોણ હતા અને તમે અમને કોણ બનાવ્યા..!
વધુ આવતીકાલે..
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા