દિવાળી
સૌથી પેહલા તો બધાને નવા વર્ષના રામ રામ…!!
હરિહર સૌને સુખ, શાંતિ , આરોગ્ય ,ઐશ્વર્ય પ્રદાન કરે…!!
સપરમાના દિવસો ચાલુ થઇ ગયા, બજારોમાં જબરજસ્ત રોનક વર્તાઈ રહી છે,
મોંઘવારી ઘણી છે,
પણ દરેકને પોસાય છે,
એટલે બહુ ક્યાંય કકળાટ સંભળાતો નથી અને કોઈ જરાક અમથો પણ અવાજ ઉંચો કરે તો ટ્રોલરિયાઓની ફોજો તૈયાર જ બેઠી હોય છે .. મચી જ પડે ..!!
ઘણા દિવસથી બ્લોગ નથી લખ્યો તમે એવી ફરિયાદ આવી એટલે લેપટોપ ખોલ્યું ,
આપણે વેપલા ફૂટવાના હોય એટલે ઘંટી ,ઘાણી ને ઉઘરાણી ત્રણે ફરતા રાખવા જ રહ્યા..!
દિવાળીના નામે ઉઘરાણીઓ એક જમાનામાં ઘણી થતી ,પણ હવે મોટી કંપનીઓ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે અમે દિવાળી પછી તરત જ કામ ચાલુ કરી દેવાના છીએ એટલે ખોટા ખોટા દિવાળીના પ્રેશરના મુકશો .. પેમેન્ટ દિવાળી પછી પણ કરીશું જ અમે..!
વાર્તા પૂરી …!
સમેટાતો જાય છે હવે દિવાળી નામનો તેહવાર પણ..!
દિવાળીએ ખાતા ચૂકતે કરવાના અને એવી બધી વાતો હવે ભૂલાતી જઈ રહી છે, ચોપડા પૂજન પણ સિમ્બોલિક થઇ ગયા, કોમ્પ્યુટર આવ્યા અને હવે બધું ઓનલાઈન થયું, ઉપરથી ફોર-જી અને હવે ફાઈવ-જી એટલે એકાઉન્ટના સોફ્ટવેર પણ કલાઉડમાં જતા રહ્યા ગમ્મે ત્યાંથી ગમે ઓપરેટ કરી શકે અને બીલ ફાડી નાખે એવી સગવડો થઇ ગઈ છે…!
સરકાર માઈબાપ `ઈઝ ઓફ બીઝનેસ`ની લવારી ઘણી કરે છે પણ એક પછી એક નવા નવા કોમ્પલાઈન્સ નાખતી જાય છે એટલે સીએ અને એકાઉન્ટ ચીતરનારા નવરા નથી પડી રહ્યા..!
અધિકારીઓ ના અધિકાર લઇ લેવાની વાત હતી,
ઇન્સ્પેકટર રાજ ખત્મ કરવાની વાત હતી , પણ કશું એવું થતું નથી અને ચારેયબાજુ આંટા ફેર થઇ રહ્યા છે , દિવાળી પછી બધું ઓર વધશે ,
લાંચરુશ્વતને સામાજિક જીવનનો એક ભાગ બનાવી અને સ્વીકાર્યતા આપી દીધી છે એટલે એના માટે પણ કોઈ ઉહાપોહ થતો નથી ..!
ચાલી રહ્યું છે બધાનું સહિયારું ..!!
જેટલો મોટો અધિકારી એટલો મોટો ભ્રષ્ટાચાર ..!!
સામાન્ય માણસ માટે ભ્રષ્ટાચાર એટલે ટ્રાફિક પોલીસ દ્વારા થતું ઉઘરાણું, હમણાં કૈક ઉઘરાણું બંધ રાખવાનું છે તેહ્વારો પુરતું ..
સારી વાત છે, પણ આ ઉઘરાણું કાયમ માટે બંધ કેમ નાં કરી શકાય ?
ટ્રાફિક પોલીસ એ તમારા તિજોરી ખાતાનો ક્લાર્ક છે ?
ટ્રાફિક પોલીસને દંડ કરવાની સત્તા હોય, રૂપિયા લેવાની નહિ ,
રૂપિયા લેવા તો સરકારે બીજી વ્યવસ્થા ગોઠવવી રહી પણ આ તો આગે સે ચલી આતી હૈ ,અને છેક સુધી લાગભાગ મળતા હોય એટલે એ વ્યવસ્થાને કોઈ છેડતું જ નથી ..!
બધું બહુ ડી-કોલોનાઈઝેશનની વાર્તાઓ થાય છે તો પછી અધિકારીઓ પાસેથી દંડ વસુલ કરવાની સત્તા લઇ લ્યો .. કેમ શું કેહવું ?
અંગ્રેજ સરકારને તો ભ્રષ્ટ અધિકારી જ જોઈતો હતો કે જે પોતાનું ઘર ભરે અને અંગ્રેજોનો ખજાનો પણ ,હવે તમારે તો નથી ખાવું કે ખાવા દેવું તો પછી અધિકારીનો રૂપિયા લેવાનો અધિકાર છીનવી લ્યો વાંધો શું છે ?
અધિકારી દંડ કરે પણ રૂપિયા ઓનલાઈન ચુકવવાના કે પછી જાય તિજોરી ખાતામાં ભરવા ,
તમ તમારે દરેક પેટ્રોલપંપ ઉપર તિજોરી ખાતાનો એક ક્લાર્ક બેસાડી દેજો અને ત્યાં કેમરા મૂકી અને એક્સેસ આપો એટલે.. ન રહેગા બાંસ અને ન બજેગી બાંસુરી ..!
આટલી સીસ્ટમ સેટ થાય તો પછી ટ્રાફિક પોલીસ કે બીજો અધિકારી રૂપિયા લેતો દેખાય એટલે ભ્રષ્ટાચાર .. બસ બીજી કોઈ વાત જ નહિ ..!
ઉપરી અધિકારીઓમાં પણ આવું જ કૈક છે, આ સપરમાંના દિવસે નોટબંધીને યાદ તો કરવી પડે કેમકે ગમે તેટલું કર્યું તો પણ લોકરો સોના-ચાંદીથી ભરેલા પડ્યા છે અને એન્જલ ઇન્વેસ્ટરના મૂળ શોધો તો કોઈ મોટો અધિકારી નીકળે એવી હાલત છે..!દરેક બિલ્ડર કે જમીનનો મોટો દલાલ એની પાછળ આજે ક્યાં તો રાજકારણી ઉભો છે અથવા તો કોઈ મોટા અધિકારી..
એક જ જિંદગી છે પણ વાલિયા લુંટારા ધરાતા નથી..!!
એકેય વાલ્મીકી પાક્યો નથી ..
સરકાર પાસે હવે અપેક્ષા ખરી કે “વાલિયા સે વાલ્મીકી તક” આવી કોઈ સ્કીમ લાવે જેમાં જુના નવા બધા સરકારી અધિકારીઓને કરેલા કાંડની માફી આપી અને એમની મિલકતો ચોખ્ખી કરી આપે ..!!
પેલી વીડીઆઈએસ અને એવી બધી વેપારીઓની સ્કીમો ઘણી લાવ્યા ભૂતકાળમાં તો પછી હવે “વાલિયા સે વાલ્મીકી તક” આવી કોઈ સ્કીમ આપી અને એમને પણ ગંગાસ્નાન નો મોકો આપો ..!
એવી રીતે વહીવટદારો ને સારા સારા સામાજિક ટ્રસ્ટમાં કે પછી હોસ્પિટલોમાં ટ્રસ્ટી બનાવો અને એમના માટે સ્કીમો આપો “વહીવટીયા સે વહીવટદાર (ટ્રસ્ટી)”
અમૃતકાળ ચાલી રહ્યો છે તો પછી બધાને અમૃતના છાંટા આપો ..
પાપ છે શું ?
એક શબ્દ જ તો છે ખાલી ..!
વ્યાખ્યા બદલી નાખવાની પાપની એટલે પુણ્ય થઇ જાય ..
આમ પણ આખો ભારતીય ઉપમહાદ્વીપ પોતાની કાળી કમાણીનો એક ભાગ કોઈક ને કોઈક ઈશ્વર કે એમના એજન્ટને ધરી દે છે અને પોતાના અંતર આત્માને ચોખ્ખો કરી નાખે છે ..!!
મારી પાસે રૂપિયા હતા તો ફલાણા ગરીબને કામ લગ્યા ..!!
ફટ રે ભૂંડા .. એ રૂપિયા ભેગા કરવા કે ઉભા કરવા કેટલા ને પીસી નાખ્યા એ તો બોલ ..!!???
પણ આવું કશું થતું નથી, આદર્શ વ્યવસ્થાની નજીક જઈ શકાય છે, પણ આદર્શ વ્યવસ્થા ઉભી થતી નથી, ચોર દરેકના મનમાં રહેલો જ હોય છે અને એ ક્યાંકને ક્યાંક બાહર આવે જ છે ..!
જેનો ચોર નાનો અને ઊંડે ધરબાયેલો એટલો એ માણસ સજ્જન અને જેનો ચોર જેટલો વધારે છુપાયેલો એટલો એ માણસ કેહવાતો મોટો સજ્જન..!!
નાલાયકીઓથી ભરપૂર સિસ્ટમો લગભગ છેલ્લા ચૌદસો વર્ષથી આ દેશમાં ચાલી રહી છે, પંદર લાખ દિવા કર્યા અયોધ્યામાં હવે પંદર લાખ અધિકારીઓના દિલમાં દિવા કરવાનો સમય છે ..!!
દરેક અધિકારીને મનમાં ઠાંસી ધ્યો કે ભ્રષ્ટાચારનો રૂપિયો એટલે ગાયની માટી ..
રામ રાજ્ય ઓટોમેટીક આવશે ..!!
પણ અહિયાં તો હજી ગૌમાંસના બર્ગર વેચાય છે ..!!
શંભો શંભો..
તારે તો ઠીક અજન્મા છે તું…
અમારે તો પુનરપિ જનનમ, પુનરપિ મરણમ ,પુનરપિ જનની જઠરે શયનમ..
ચાલો ફરી એકવાર નવા વર્ષના એડવાન્સમાં સૌને
રામ રામ ..
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*