મોરબીની ઘટના, સૂરતનો અગ્નિકાંડ ..
આવી ઘણી બધી ઘટનાઓના સાક્ષી થઈને આપણે બેસી રહીએ છીએ, સમસ્યાના મૂળ સુધી જઈને ઉકેલ તરફ જવાની વાત આવે ત્યારે પક્ષાપક્ષી અને રાજકારણને વચ્ચે ઘાલીને છેવટે ભૂલી જઈએ છીએ..!
યાદ કરો કે સૂરતમાં પેલા કલાસીસમાં આગ લાગી હતી અને નાના-નાના પંદર-સત્તર-વીસ વર્ષના બાળકો.. એ આગમાંથી બચવા કુદકા માર્યા હતા અને બધા જ લગભગ રામશરણ થયા હતા ..!!
વિડીયો વાયરલ થયો હતો , અમારા જેવાઓ ટીવી ઉપર કે પછી બીજા માધ્યમ ઉપર જઈ જઈને સરકાર ઉપર તડી બોલાવી હતી પણ પછી શું ?
તો પ્રશ્નાર્થ ..
ફક્ત અને ફક્ત
__ ? —
બીજું કાંઈ જ નહિ ..!!
એ સમયે એવી વાત હતી કે ફાયર ફાઈટર ઉર્ફે લ્હાયબંબા મોડા પડ્યા એમાં વધુ જાનહાની થઇ ..
પણ ,પણ , પણ…
એ જ સમયે એવો કાયદો હોત કે તમામ દુકાન ,ઘર અને વાહનમાં એક “ફાયર એકસ્ટીંગવિશર” ( પેલું લાલ ડબલું કે જેમાંથી ગેસ છૂટે અને આગ ઓલવાઈ જાય ) રાખવું ફરજીયાત છે તો સૂરતના એ ભરચક વિસ્તારમાં હજ્જારોની સંખ્યામાં “ફાયર એકસ્ટીંગવિશર” હાથવગા મળી ચુક્યા હોત અને ફાયર બ્રિગેડના વિલંબનો ગાળો નાનો કરી શક્યા હોત ..!!
હજી પણ આજ સુધીમાં કેટલી દુકાનોમાં તમે “ફાયર એકસ્ટીંગવિશર” જોયું ?
કેટલા ઘરની બાહર “ફાયર એકસ્ટીંગવિશર” જોયું ?
કેટલા વાહનોમાં “ફાયર એકસ્ટીંગવિશર” જોયું ?
હું પણ તમારાથી જુદો નથી ,
હા કારખાનાઓમાં છે “ફાયર એકસ્ટીંગવિશર” , જરૂરિયાત કરતા બધે બબ્બે પાંચ-પાંચ વધારે છે પણ ઘેર ? તો કહે… ના…
ગાડીઓમાં ? તો કહે… નાં …
શું પ્રોબ્લેમ છે ? તો કહે પ્રોબ્લેમ કંઈ નથી પણ આળસ છે ..!!
હવે “ફાયર એકસ્ટીંગવિશર” ના હોવાની સમસ્યાને કોઈક બીજી રીતે જોઈએ ..
દરેક વ્યાસપીઠ ઉપરથી એલાન થાય ,દરેક ધર્મ ની ….કે ..અલ્યા શૈશવ આ ધરમનું કામ છે, “ફાયર એકસ્ટીંગવિશર” તમારે તમારા માટે નથી રાખવાનું પણ કોઈ બીજાને જરૂર પડે તો કામ લાગી જાય અને એક જીવ બચાવવાનું પુણ્ય મળી જાય ..આવું થાય તો ..?
કોઈ બીજો રસ્તો ..?
તો કહે સરકાર કાયદો લાવીને ફરજીયાત કરે, અને એમના શ્વાન છુટ્ટા મૂકી દે કરડવા, એટલે બધું સીધું દોર …!!!
ચારે બાજુ “ફાયર એકસ્ટીંગવિશર”ની અવેલીબીલીટી આગ જેવા મામલામાં શરૂઆતનો `ગોલ્ડન અવર` કે મિનીટને બચાવી આપે છે ..!!
હવે પાણીની વાત …!!
સાયકલ, સ્વીમીંગ અને ડ્રાઈવિંગ આવડવા જ જોઈએ દરેકને ..!!
તરણ હોજ ઉર્ફે સ્વીમિંગપુલ ઢગલો કર્યા પણ કેટલા ગયા ?
ફીઝીકલ એજ્યુકેશન કે ફીઝીકલ ટ્રેઈનીંગ નામનું ડીંડવાણું કેટલાય દસકાઓથી સ્કૂલોમાં ચાલી રહ્યું છે , પણ લાગે છે એકેય માટીડૉ કે જેણે ખરેખર લીધી હોય ?
અરે પીટીનો માસ્તર જ ફિટ ના હોય ત્યાં છોકરાંની વાત શું કરવાની ?
સ્વીમીંગ એમાં ફરજીયાત ના કરી શકાય..? આ લાખ્ખો રૂપિયા ફી લેતી ઢોરાં ચારવાના હોય એવડા મોટા કેમ્પસમાં જીવનમાં ત્રણ મહિના ટ્રેનીંગ આપી અને સ્વીમીંગ ના કેમ શીખવાડો ?
હવે વાત કરીએ મોરબીની ઘટના..
૧૪૦ વર્ષ જુનો પુલ રીપેર કરીને ચાલુ કર્યો ..!!
શું જરૂર હતી ભાઈ..?
કાલે સવારે કોઈને થાય કે ઝુલતા મિનારા રીપેર કરો અને એની ઉપર પબ્લિકને ઝુલાવો , અમે મોટ્ટા દાની પુરુષ છીએ તો અમારા શેહરનું નાક એવા ઝુલતા મિનારા છે એન્જીનીયરીંગ ક્ષેત્રની એક મોટી અજ્યાબી છે આ ઝુલતા મીનરા, કરો રીપેર અને કરો ચાલુ ..!!
તો શું ?
કયો ઘનચક્કર એનું ફિટનેસ સર્ટીફીકેટ ઈશ્યુ કરશે ?
મેડીકલ ફિલ્ડમાં તો ફિટનેસ સર્ટીફીકેટ ડગલે ને પગલે આવે છે તો પછી તમારે એન્જીનીયરીંગ ફિલ્ડમાં ફિટનેસ સર્ટીફીકેટ કેમ નહિ ?
લીફ્ટના સર્ટીફીકેટ આપો છો કેમકે દોરડે ચાલે છે તો પછી આવડો મોટો પુલ એનું ફિટનેસ સર્ટીફીકેટ ક્યા ગધેડા એ આપ્યું ?
અમદાવાદના દરેક પુલના છેડે પ્રજાને વંચાય તેમ ફિટનેસ સર્ટીફીકેટ કેમ નથી ચોંટાડતા ?
અરે વેબસાઈટ ઉપર મુકો ..શેના માટે આરટીઆઈ કરવાની ભાઈ ?
ત્રીજી વાત હવે..
દારુ નહિ પીનારી પ્રજાને દારુ સિવાયના કેટલા નશા કરાવો છો ?
અમદાવાદ તો હેરીટેજ સીટી છે ? અક્કરમી સાડા છસ્સો વર્ષથી પાછળનું કશું છે નહિ અને હેરીટેજ ?
તો પછી દેશભરમાં ફેલાયેલા ઈસાપૂર્વના સ્થાપત્યો શું ફોસિલ યુગ ?
મોરબીની પ્રજાને પણ દારુ પીવડાવ્યો .. ઝૂલતો પુલ …ઝૂલતો પુલ…!!
ખરું સ્થાપત્ય છે પેલું મણીમંદિર, પણ એમાં સરકારી ઓફિસો ખોલી અને ચુનાના કુચડા ફેરવી દીધા છે ..!
અચાનક ભાન લાધ્યું કે અટલ બ્રીજ સાચવો અલ્યા નહિ તો …!!
દાનનો નશો પણ ખરો .. શ્રેષ્ઠી છીએ અમે ..રાજમાં અમારા સિક્કા પડે ..!!
સત્તાનો નશો .. અધિકારીઓ અને રાજકારણીઓ બધ્ધાને ..!!
જુવાનીનો નશો .. પાર વિનાનો ..આખો પુલ ધ્રુજાવી દીધો ..!
ભ્રષ્ટાચારનો નશો … આજ નો લાહવો લીજીયે રે કાલ કોણ દીઠી ..!
લાપરવાહી નો નશો … અનહદ ….જાવા જ દે તું તારે પુલ ઉપર માણાહ ,કાંઈ નો થાય એને એકસો ચાલીહ વરહ થયા અડીખમ ઉભો સે ..!! ટીકીટુ ફાઈડ …!
ફાડી નાખી ટીકીટ જમડાએ..!
વૈજ્ઞાનિક કારણો સમજાવે છે .. અનુનાદ ..અલ્યા નાદ ખબર છે ? તરંગ એટલે શું ? શૃંગ અને ગર્ત ..પછી ? ન્યુટનને વચ્ચે ઘાલ્યા .. પછી દાની પુરુષોના પુણ્યો ગણવ્યા , રાજના સબંધો ,રાહત કાર્ય દેખાડ્યા પણ જાતથી મુઆ એ તો મુઆ પડ્યા ..!
સો વાતની એક વાત આવી અને ઉભી રહે કે પુલ નું ફિટનેસ સર્ટીફીકેટ કોણે ફાડ્યું ? રીપેરીંગમાં મૂળ ડીઝાઈન જોડે ચેડા કેટલા ? ૧૪૦ વર્ષ જુના લોખંડની ઉપરની સમયની અસરની છેલ્લી તપાસ ક્યારે થઇ હતી ? અને હજી પણ અવશેષોના ફોરન્સીક થાય તેમાં ૧૪૦ વર્ષ જુના લોઢાની પોતાની કેટલી તાકાત બચી હતી ?
ઘણા પિત્તળભેજા એલિસબ્રિજ જેવા `મડદા` ને “ઉભા” રાખવા માંગે છે ..
અલ્યા એના માટે મ્યુઝીયમ બનવાય, એક ભાગ મ્યુઝીયમમાં રાખી બાકી બધું…
બહુ એવું લાગે તો સોવેનીયર તરીકે લોકોને વેચી અને રૂપિયા ઉભા કરાય એમાં ખોટું શું છે ?
પણ અક્કરમીઓ સો વર્ષ જુનો પુલ સાચવવા છસ્સો વર્ષ જુનો માણેકબુરજ તોડ્યો …!!
અલ્યા તૈણ દરવાજાની સ્ટ્રેન્થ પણ જોઈ લેજો ક્યારેક નહિ તો એકાદા વરસાદમાં ખાનપુર દરવાજો અમારા એક સમયના સારથી કાળિયાના ગેરેજ ઉપર પડ્યો હતો એમ પડે નહિ ..!!
નાની ઠાઠડીઓના ભાર બહુ વધારે હોય છે, મોરબીમાં કોણે કોની ઠાઠડી ઉપાડી અને કોણે કોના કફન દફન કર્યા એ તો ઉપરવાળો જાણે ..
પણ જેનું જાય છે એની પાછળની જિંદગી પછી જિંદગી નથી રેહતી ..!!
એક કમોત બીજા ચાર-પાંચ જીવનને જીવતે જીવ મોત આપતું જાય છે..!!
ચોટીલે બેઠેલી બે મોઢાંવાળી સ્મશાન નિવાસિની મારી માં ચામુંડ સૌને શક્તિ દયે ..!!
ઓમ શાંતિ શાંતિ શાંતિ :
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*