એક પોસ્ટ જોઈ સોશિઅલ મીડિયામાં રખડતા રખડતા ..
નવરાત્રીને ત્રણ મહિનાની જ વાર ..!
અલ્યા પિત્તળબંબા હજી જેઠ જાય છે , અષાઢ ,શ્રાવણ અને ભાદરવો આખ્ખા બાકી..!
હાલી શું મળ્યા છે ..?
નવરાત્રીને ત્રણ જ મહિનાની વાર..
હજી તો લેખકોએ અષાઢસ્ય પ્રથમ દિને મહાકવિ કાલિદાસને યાદ કરવાના બાકી છે , કેટલાય લેખકોએ પોસ્ટ લખી લખીને તૈયાર રાખી હશે એમનો વારો આવે એ પેહલા તમે ચાલુ એમ ?
તેહવારોનો આખો શ્રાવણ બાકી છે ,એના માટે લેખકોએ બિચારાઓ એ લખી લખીને મુક્યું હોય એ બધું પેહલા વરસાદમાં જ હવાઈ જાય એમ કેમ ચાલે હેં ?
બસ નવરાત્રી એક જ સુઝે છે તમને ?
ના ના તમને રથયાત્રાથી લઈને સરાધીયા સુધી બીજી કશ્શી ખબર જ નથી ?
સાચ્ચી વાત એ છે છે કે નથી ખબર ..
રીત રીવાજો અને તેહવારોમાં આનંદ આવવો જોઈએ, મજા આવવી જોઈએ, જે આપણે ચુક્યા છીએ ,તેહવારોમાં ખોટા આડંબર ઘુસાડ્યા છે ,આમ જ હોય અને તેમ જ કરવું પડે ,એટલે જુવાનીયા દૂર થઇ ગયા ધીમે ધીમે અને એનું માર્કેટ ખતમ થઇ ગયું ..
સાદું રથયાત્રાનું જ ઉદાહરણ લઈએ તો યુરોપમાં થતા કાર્નિવલ સાથે એને જોડી શકાય , આખ્ખે આખ્ખા નગરો રોડ રસ્તા ઉપર આવીને મજા કરી જાય ,
આપણે શું થયું ? તો કહે કોમ્યુનલ ટેન્શન એટલું બધું થઇ ગયું કે અમદાવાદની સાહીઠ-સિત્તેર લાખની વસ્તીમાંથી માંડ બે ચાર લાખ માણસ આવે ,
એવું કેમ ના થાય કે રથયાત્રાને દિવસે ગુજરાત આખું આવે અમદાવાદમાં અને મોજુ કરીને જાય ?
એક સમય હતો અમદાવાદ જેટલી આતુરતાથી નવરાત્રીની રાહ જોતું એટલી જ આતુરતાથી `રથજાત્રા`ની રાહ જોતું ,
આજે અમદાવાદનો વિકાસ થયો અમદાવાદ ફેલાયું પણ રથયાત્રા પરંપરાના નામે આપણે રૂટ પકડી રાખ્યો ,
એમાં કશું ખોટું પણ નથી, હજી સિત્તેરના દાયકા સુધી જન્મેલી અમારી પેઢી જીવે છે અને જેણે ૧૯૮૫ની રથયાત્રા અને એના પછીના તોફાનો અને સગ્ગી આંખે ગુજરાત સમાચારને ભડભડ સળગતું જોયું છે એ લોકો રૂટ બદલાવા તૈયાર ના જ થાય ..
તો પછી રસ્તો શું ?
નવી મીલેનીયમ જનરેશન જે પશ્ચિમ અમદાવાદની પ્રહલાદનગર ,સિંધુભવન અને એસ.જી. હાઈવે ઉપર ઉછરેલી પેઢીને અમદાવાદની રથયાત્રામાં જોડવાનો ?
પેહલી વાત તો એ જ કે રથયાત્રાને ગુજરાત સરકાર અમદાવાદનો પોતાનો તેહવાર છે એમ સ્વીકારે અને નગરજનોને તે દિવસે જાહેર રજા ડીકલેર કરાવે,
બીજી વાત રથયાત્રા સુધી જવા માટેની વ્યવસ્થા અને પ્રોપર પાર્કિંગ ,પછી મંદિર પ્રશાસન સાથે વાત કરી અને પ્રભુ અને એમના રથો ભલે નિયત રૂટ ઉપર નગર ચર્યા કરતા, પણ યાત્રાનો એક ફાંટો , તમામ ટ્રકો મોસાળું થઇ જાય પછી શાહપુર બ્રીજથી સાબરમતી નદી પાર કરી સીજી રોડ ઉપર સંચરે ..
બાકીનો રૂટ તમે સુજ્ઞજનો સરકારશ્રીને આપો ..
હા, રાત્રીના બાર વાગ્યે ફંટાયેલી રથયાત્રા જમાલપુર પુલેથી પાછી શ્રીજી પાસે પોહચી જવી જોઈએ, આમ પણ એ રાત્રે નિજમંદિરના દ્વાર તો ભગવાનના ઘરવાળાએ રુસણું લીધું હોય છે અને સજ્જડબંબ કરી દીધા હોય છે..
માતા લક્ષ્મી ભગવાનને કહી દે છે કે આ આખી અમદાવાદી નગરી ફરવા નીકળ્યા તે તમને તમારા ભાઈબેન યાદ આવ્યા અને હું નહિ ? જાવ આજે બારણા નહિ ખોલું પડ્યા રહો ઘરની બાહર ..
એક સંદેશ છે આપણા માટે અને મારા જેવા માટે તો ખાસ .. કે ઘરવાળીને મૂકી અને રખડવા જવું નહિ નહિ તો ઘર ના ઓટલે રાત રેહવું પડે ..
ટ્રકો અને એની સાથે મોટા ટેબ્લો જેમાં મોટી મોટી કંપનીઓ પણ જોડાય ,એક પ્રતીકાત્મક છેલ્લી ટ્રક જેમાં ભગવાન જગન્નાથજી અને એમના ભાઈબેહન બધાય બિરાજમાન હોય તે સૌથી છેલ્લી રાખવાની , અને એકવાર રથયાત્રા સાબરમતી પાર કરે પછી તમ તમારે ડીજે ના તાલે ગજવો અમદાવાદને , અરે હું તો કહું છું ખાણીપીણીના સ્ટોલ સાથે લઈને ટેબ્લો કેમ ના ફરે ..!!!
વાત એમ છે કે તેહવારો જીવશે તો સંસ્કૃતિ જીવશે , એકલી નવરાત્રી સંસ્કૃતિનો ભાર નહિ ખેંચી શકે , સમાજમાં ઘણી “પિત્તળાક્ષી” ઓ વંડી ઠેકવા વંડીએ ચડીને બેઠી જ છે.. જેને આપણે સોનુ માનીને બેઠા હતા..
રથયાત્રામાં અખાડાના પેહલવાનો અને ભજન મંડળીઓ બંને મારા રસનો વિષય છે , પશ્ચિમ અને હવે તો પૂર્વ અમદાવાદ બધ્ધે અનહદ જીમ ખુલ્યા છે , ડેમો પીસ તૈયાર જ છે ,અને ટેબ્લો બનાવવા પણ તૈયાર છે આવી રીતે જ ગુજરાતી ફિલ્મો ના પ્રમોશન માટે પણ બધું હેન્ડ્યું આવશે ,એકવાર જામશે તો બીજું ઘણુય આવે ..
હેંડો તાણે ગોઠવો કૈક ,હજી અઠવાડિયાની વાર છે તો ..
તાબડતોબ..
અને હા ઘણા ગાયકોએ એમની પોસ્ટ અત્યારથી મુકવાની ચાલુ કરી દીધી ..
હા એ જ બધા ..ગરબાની અને નવરાત્રીના બુકિંગો લેવાના ચાલુ કરી દીધા ,
ભૈલા અને બુનો ..બુકિંગ લેવાના ચાલુ કરે ઈ ઠીક , ઇવેન્ટ મેનેજરો હવે નવરા પડ્યા હોય લગનોની સીઝનમાંથી એટલે એ બધા બેક ઓફીસના કામો ચાલુ થઇ જાય એ વાત બરાબર છે પણ ગાયકો જો અત્યારથી ગરબા મુકવાના ચાલુ કરશે તો વસ્તી ખરા ટાઈમે ડોફરાઈ જશે..
અબખે પડી જશે ..!
શાંત મગજે વિચારજો ..
તેહવારોની સીઝન છે સંતાનોને તેહવારો સાથે જોડો આનંદ આપો તો પરિવાર બંધાઈ ને રેહશે ,સમાજ પણ બંધાશે..
ઉત્તરાણને દિવસે ધાબે વસ્તીને દારૂ બીયરની બાટલી ખોલતી જોઈ છે પણ રક્ષાબંધનને દિવસે દારૂ ..????
છે હજી ,
અંદર ઘણું બચ્યું છે,
પણ એ જતું રહે તે પેહલા જોડો ..
મુંબઈ ગણપતિ સાથે જોડાયું છે અમદાવાદને જગન્નાથજી સાથે જોડી દયો ..
અવસર છે ચૂકશો નહિ ..!
હે મંદિરમાં કોણ છે ?
રાજા રણછોડ છે ..
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
*(ચેતવણી :- આ બ્લોગને તમે ફોરવર્ડ ચોક્કસ કરી શકો છો, પરંતુ પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)*