મુંબઈમાં અમીછાંટણા થઇ ગયા, બધા કલાકારોની વોલ જોઈએ તો બંને નિષાદ ભેગા થઇ ગયા અને રેપમપ ,રેમપ .. ની .. ના પ્રભુત્વવાળા રાગ રાગીણીઓ ગુંજતા થઇ ગયા..!
અમદાવાદ કોરું ધાક્કોર છે, રાતે.. રાતે.. ઘોડો લઈને રખડવા નીકળીએ તો ક્યારેક ભીની ભીની માટીની સુગંધ વર્તાય છે નાકને, ક્યારેક ઠંડી લેહરખી પણ અથડાઈ જાય છે જો કે એકેય મલ્હાર ચાલુ કરાય એવા લખ્ખણ કુદરત નથી દેખાડતી એટલે પછી ગનીસા
કરીને દેસ રાગ લઇને બજે હર તફર સે ગુંજે મંતર દિશરા
કરી લઈએ..!!
આમ જોવા જાવ તો બજે હર તરફ સે એવો જ ઘાટ થઇ રહ્યો છે .. કોવીડ કેડો મુકતો નથી ત્યાં રેલીઓ ચાલુ થઇ ગઈ..!
ક્યારેક એમ થાય કે શું માંડ્યું છે અને કેમ ? પાકિસ્તાન જેવું કરવાનું છે ?
ચાલો આજે વાત પાકિસ્તાનની ..!
આ આખા ભારતીય ઉપમહાદ્વીપ જેને આપણે સુજલામ સુફલામ ધરતી કહીએ છીએ એની પર કબજો જમાવી ને પોતાની જંગલિયત બરકરાર કરવાની આકાંક્ષાએ સદીઓથી ખૈબર પારથી આક્રમણ થતા આવ્યા છે અને હવે રીત બદલાઈ છે, અંદરથી જ ઉભા કરો કે જેથી બધું હાલી જાય..!
પાછા ક્યાં પડ્યા પાકિસ્તાની ..?
દેખાડો કરવામાં ..!!
છે ભિખારી અને ફઈડકા મોટા મોટા ..!! ફાંકા ફોજદારીમાંથી નવરા નથી પડતા..!
એ જમાનો જુદો હતો કે ખૈબરની પેલે પાર ભૂખ નાચતી હતી અને અહિયાં ઋતુએ ઋતુએ ફૂલડાં મોહરે અને ફળ મળે,
પણ ખાટલે મોટી ખોડ ..તૂટેલું ફૂટેલું અડધું પડધુ ભારત એક પણ પાકિસ્તાનીને એવું ઠસાવી ના શક્યુ કે તારી ગરીબી માટે તારા જ ધર્મ બાંધવો જવાબદાર છે, તારે ત્યાં જે ભૂખ નાચે છે એની બદલે તારો ધર્મ બાંધવ તને સોનાની થાળીમાં ખવડાવી શકે એટલો માલેતુજાર છે એ જવાબદાર છે..!
૪૭માં પાકિસ્તાની પુત્ર જેના માટે જુદો થયો અને જે રાજ એણે ઉભું કરવાનું હતું એની બદલે પેલો ખજુર આપીને કેરી લઇ જાય છે તારી પાસેથી..!!
આવું કેમ સમજવી નથી શકતા ?
મધ્યપૂર્વના દેશોમાં પાકિસ્તાનીનું સ્થાન એકલા મજૂર અને મજૂરીનું જ છે, મર્યા પછીની વાતો મર્યા પછી કરીશું ,પણ અત્યારે જીવતે જીવત તો તારી આ હાલત માટે કોણ જવાબદાર છે ?
ભારત ને તો બારસો ચૌદસો વર્ષ પેહલા લુંટી ગયા અને બાકી હતું તો મહારાણી વિક્ટોરિયા લુંટી ગઈ તે હવે અહિયાં શું બચ્યું છે ?
ત્યાં.. તો.. પાકિસ્તાની ..ત્યાં ..ત્યાં .. સોનાના જાજરૂમાં હંગે છે, પણ તને શું આપ્યું ? જે આપ્યું એ તારા રાજકારણીઓ ખાઈ ગયા..!
કેવી કેવી ગાડીઓ અને કેવા કેવા રોડ રસ્તા ..!! અને ચારેય બાજુ એસી અને બાગ બગીચા રણ જેવું લાગે જ નહિ અને તમે જુવો અરરરર..
ભારતએ આજે પાકિસ્તાનનો પક્ષ લઈને વાત કરવા જવું જોઈએ કે આવી પરિસ્થતિમાં કેમ મુક્યું તમે ? આ દિવસો માટે અમે એ બિચારાને છુટા મુક્યા હતા ?
સૈન્ય મદદ પણ કરવી જોઈએ તો પાકિસ્તાનને એના ધર્મબાંધવો હક્ક ના આપે તો..!
આ રીતે ચાલે જ કેમ ?
આપણે પણ કબૂલ કરવું રહ્યું કે ક્રુડ ઓઈલ માટે આપણે બહુ જરૂર છે એમની ,તો કાળા સોનું અમને પણ થોડું સસ્તું કરી આપો અને પાકિસ્તાનને બિલકુલ મફત આપવું જોઈએ આમ કેમ ચાલે ..?
ઘણા બધા પાકિસ્તાની નાગરીકો એમ કહે છે કે એમના પૂર્વજો મધ્યપૂર્વમાંથી આવ્યા છે, ભારતના મૂળભૂત નાગરીકો જોડે એમના કોઈ કનેક્શન નથી તે વાત સાચી છે એમાં કઈ ખોટું નથી ,પણ ભારતનું આજે સૌથી પેહલું કામ એ હોવું જોઈએ કે જે પાકિસ્તાની નાગરીકો કહે છે કે એમના પૂર્વજ ત્યાં છે તો એમને એમના મજિયારામાંથી હક્ક અપાવો..!
અહીં પાકિસ્તાનમાં શું દાટ્યું છે હવે ? જે ખાણ ખનીજો દાટેલા હતા એ તો આટલા વર્ષમાં રાજકારણીઓ એ ખોદી ખોદીને કાઢી ને વેચી ખાધા ,અડધું બલુચિસ્તાન ચીનાને વેચી ખાધું છે તે હવે જરાક પેલી બાજુ નજર કરો માલ ત્યાં છે ,અહી તો ભૂખ જ નાચ્યા કરશે..!! ઉધામા પેલી બાજુ જઈને કરો..!!
પાકિસ્તાનીના મનમાંથી કાઢવું પડશે કે ભારત તારી બદહાલી માટે જવાબદાર છે , ભારત પોતે જ બદહાલ હતું અને હજી તો માંડ ઉભું થાય છે,
ડોશી ને તાજી માજી થાય પછી ખાજે ..!!
પણ ત્યાં સુધી બસ્સો પાંચસો વર્ષ તો જરાક પેલી બાજુ નજર કરો ..!
દુનિયામાં આજે પણ એક વાત છે .. નાગા ની પાંનશેરી ભારે ,હિરોશીમા અને નાગાસાકી ઉપર ફેંક્યા અને નાગાઈ કરી તો આજે પણ એની પાંનશેરી ભારે જ છે..!!
સંહાર જેણે જેણે બેહિસાબ કર્યો એના વંશજો મોજ કરે ..!!
અહિંસા અને હિંસા આ બંને ધ્રુવોની ચર્ચા થવી જોઈએ, આપણે બુદ્ધ નો માર્ગ પણ જોયો અને યુદ્ધનો માર્ગ પણ ,હવે નક્કી કરવાનું છે ક્યા રસ્તે આગળ વધવાનું છે..!
મધ્યમ માર્ગ પર ચાલવું હવે જરાક મોંઘુ પડી રહ્યું છે, તમારી ઘરની નાની નાની વાતમાં આખું ગામ તમને ટોકે અને તમે શાંતાફઈની જેમ શાંતિથી બેસી રહો અને એમ બોલો હશે ત્યારે અત્યારે તમારા શાંતિફુઆ હોત તો કૈક કરત પણ હું મુઈ એકલી ક્યાં બાઝું ?
આ માર્ગ હજી કેટલા વર્ષ ?
દુનિયામાં યુધ્ધો ચાલુ જ છે, બળબળના પારખા મધ્યપૂર્વ હોય કે યુક્રેન બંને જગ્યાએ થઇ જ રહ્યા છે, ક્યાંક તો ભાગ લેવો જ પડશે, કુરુક્ષેત્ર ઉપમહાદ્વીપને ના થવા દઈએ પણ તટસ્થના પુંછડા પછાડીને રણભૂમિથી ભાગવું એ પણ ઉકેલ નથી..!!
બાજુવાળો એની બાયડીને મારતો હોય તો આપણે પણ પોલીસ આવે એ પેહલા હાથ સાફ કરી લેવો, અને એ પણ કોણ સાચું અને કોણ ખોટું એ વિચારવાનું નહિ પણ આપણને જે લાભદાયી લાગતો હોય એની સામેવાળા ને ઠમઠોરી નખાય..!!
દુનિયા હજી જંગલ રાજ જ છે..!
યુક્રેન યુદ્ધમાં બે ચાર ભારતીય મિસાઈલ પડ્યા હોય તો ઘરની વસ્તી પણ કાબુમાં રહે.!! અને આજુબાજુની પણ ..!
ચતુર કરજે વિચાર ..!
લખ્યું એ શબ્દોના બેઠ્ઠે બેઠા અર્થ કાઢીશ તો ચતુર ચકડોળે ચડીશ, શબ્દો બદલીશ તો અરથ પણ બદલાશે..!!
શુભ સંધ્યા
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)