![]()
એનડીટીવી પરનો એક દિવસનો પ્રતિબંધ હવે લાગુ નહિ પડે…
વાહ રે વાહ..
કેવો જોરદારનો તમાચો માર્યો રાષ્ટ્રવાદીઓ ના મોઢા પર..
“દેવડીએ દંડાય છે ચોર મુઠી જારના લાખ ખાંડી લૂંટનારા મેહફિલે મંડાય છે..”
“સત્ય ધૂમિલ થાય છે પણ એને આંચ નથી આવતી..”
કેવું કેવું આપણને સ્કૂલો અને કોલોજેમાં જ્ઞાન આપવામાં આવે છે અને તો પણ આપણે મુરખો સુધરતા નથી..
સિંહની જેમ લાલ કિલ્લેથી ગરજતા અને જયારે GJ – 18 ની પેલી સ્કોર્પિયો ગાડી રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં એન્ટર થઇ ત્યારે છાતી ફાટફાટ થતી હતી કે ચાલો એક તો ભાયડો આવ્યો જે ખરેખર “કૈક” કરશે..
દોસ્તો તમને જાણીને દુઃખ થશે પણ એક હકીકત છે કે આજે પણ ભારતનો છેલ્લો હિંદુ રાજા પૃથ્વીરાજ ચૌહાણની અફઘાનિસ્તાનમાં આવેલી સમાધિ ઉપર અફઘાન લોકો પેહલા જૂતા મારે છે અને પછી અંદર આવેલી મઝારમાં ઝીયારત કરવામાં આવે છે..(યુટ્યુબ પર કલીપ અવેલેબલ છે)
સમાધિ ઉપર જૂતા મારવા,આ ભારતની રાજનીતિ છે..ઇસ્લામને આ ઘટના સાથે કોઈ જ લેવા દેવા નથી, ઇસ્લામનો જનક દેશ સાઉદી તો એક પણ મઝાર પર ઝીયારતની પરમીશન નથી આપતો, એમાં એમને બુત પરસ્તી જ દેખાય છે..
એટલે રાજા પૃથ્વીરાજ ચૌહાણની સમાધીને જૂતા મારી અને ઝીયારત કરવી આ ઘટના એ ભારતની રાજનીતિ છે , હિદુ મુસલમાન પ્રોબ્લેમ નથી..
હવે એનડીટીવીની ઘટના અને રાજા પૃથ્વીરાજ ચૌહાણની સમાધીને જૂતા મારવા જોડે શું સંબંધ..?
છે બહુ મોટો સબંધ છે પૃથ્વીરાજ ચૌહાણના પતન માટે જવાબદાર કોણ હતું..?
પૃથ્વીરાજ ચૌહાણનો વધુ પડતો આત્મવિશ્વાસ,જેણે સોળ સોળ વાર દુશ્મનને છોડી દીધો અને એક “ટોળકી” જવાબદાર હતી કે જે એકદમ ચુપચાપ પોતાનું કામ કરી ગઈ અને હિન્દુસ્તાનને આતંકીઓને હવાલે કરી નાખ્યું પણ એ “ટોળકી” દિલ્લીમાં રહેલા પોતના કારોબાર અને ઘરબાર સાચવી ગઈ..
ટોળકીના નામ લખવા છે પણ આધાર નથી મળતો ,ઈતિહાસ પાસે ખાલી મોટા મોટા ગદ્દારોના નામ છે, પણ નાના નાના ગદ્દારો જે ભેગા થઈને એક “ટોળકી” રચે છે જે જુદા જુદા સ્વરૂપે દરેક કાલખંડમાં હોય છે એના નામો ખુલીને ક્યારેય બહાર નથી આવતા અને સચવાતા પણ નથી …
આ “ટોળકી”માં સમાજના પ્રતિષ્ઠિત નાગરિકથી લઈને ગલી નો ગુંડો સુધ્ધા હોય છે અને એ બધું જયારે ભેગું થાય છે, ત્યારે એમનું એક જ કામ અને ધ્યેય હોય છે મારું સીધું કરો અને એના માટે એ ટોળકી મોટેભાગે રાજાને અવળી સલાહ આપે કે રાજાના સલાહકારોને અવળી સલાહ આપી અને એમને એ સલાહકારોને પણ પ્રભાવિત કરે છે, અને રાષ્ટ્રનું પતન થાય પણ “ટોળકી” તરી જાય..
“ટોળકી” એ ભારતની રાજનીતિમાં આજદિન સુધી બહુ જ મોટો રોલ ભજવ્યો છે..
રાજા કે બાદશાહ ગમે તે હોય દિલ્લીની ગાદી ઉપર પણ રાજ તો પેલી “ટોળકી” જ કરતી રહી છે..
હવે તમને થશે કે શૈશવ તું આ “ટોળકી” શબ્દ ક્યાંથી લાવ્યો ભાઈ..!
તો હું કહી દઉ કે આ શબ્દ મારો નથી ભારતવર્ષના પંતપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા બોલાયેલો શબ્દ છે,અને એમણે જાહેરમાં એવું બયાન અઆપ્યું હતું કે દિલ્લીમાં રહેલી એક “ટોળકી” જેણે કોઈપણ બિનકોંગ્રેસી સરકારને એ સરકારના મુખીયાની મરજી પ્રમાણે કામ કરવા દીધું નથી અને મારે એ “ટોળકી” થી બચવાનું છે..!
સાહેબ જયારે “ટોળકી” બોલ્યા ત્યારે મને વર્ષો પેહલા એક આઈએએસ અધિકારી જોડે થયેલો વાર્તાલાપ યાદ આવી ગયો અને એમનો દાવો હતો કે જયારે કટોકટી લાદવામાં આવી ત્યારે ઈન્દિરાજી તો સુન્ન થઇ ગયા હતા કે આ શું..? પણ આખો કારોબાર એક “ટોળી” એ કર્યો અને ઉપાડી લીધો હતો…
જો કે હું એ વાત સાથે સંપૂર્ણ અસહમત થયો હતો ત્યારે પણ અને અત્યારે પણ અસહમત છું, હા કટોકટી દરમ્યાન જે કાંડ થયા એમાં એક “ટોળકી” હતી એ વાત હું માનું છું..
હવે આ “ટોળકી” નું થોડું અહિયાં ૧૧૦૦ કિલોમીટર દુર અમદાવાદમાં બેઠા બેઠા બે ત્રણ લીટીમાં વિશ્લેષણ કરીએ..
મને લાગે છે અત્યારે એ “ટોળકી” મોટા ટોળાનું સ્વરૂપ લઇ ચુકી છે અને છાશવારે જંતરમંતર પર બેસી જાય અને શાસકને કનડે છે, ઘણા બુદ્ધિજીવીઓ અત્યારે એ ટોળાનો ભાગ થઇને કોર ટોળકીમાં પ્રવેશ લેવા મથી રહ્યા છે..
ટોળકીનું મુખ્ય કામ હોય છે “વહીવટ” કરી આપવાનું અને તમારું “કામ” કાઢવી આપવાનું એમાં મોટા મોટા વકીલોથી લઈને ગલીના ગુંડા અને પ્રોફેસરથી લઈને પત્રકાર બધુંય છે..
તમારું “કામ” એવા રૂપિયા કે પછી સામે એવું “કામ કાઢી” આપવાની તમારી તાકાત, જબરજસ્ત સોદાબાજી ચાલે, ક્યારેક એકાદ બે ટોળકી ભેગી થઇને એક થાય ક્યારેક એક માંથી ચાર પાંચ થાય પણ એ લોકોનો મકસદ એક જ હોય વર મરો કન્યા મરો પણ મારું તરભાણું ભરો..
લોકતંત્ર આવ્યું પછી પણ..ના કદાચ એ પેહલા પણ એ ટોળકી બાપુ અને સરદારની આજુબાજુ ગોઠવાઈ ગઈ હતી..નામ ફરી ના પૂછશો તમે જ ઈતિહાસ ખોલો અને વિચારો કોણ કોણ હોઈ શકે ? બાપુ એ તો એમને ના ગમતા નિર્ણયો પરાણે લીધા છે, અને બધું લખ્યું પણ છે એટલે બીટવીન ધ લાઈન્સ છોડીને તમે જો આ શબ્દો લખતા હો તો તમારી મન:સ્થિતિ શું હોય અને તમારી આજુબાજુનું વાતાવરણ કેવું હશે એટલું વિચારો અંદાજ આવી જશે..!
આજે જયારે નરેન્દ્ર મોદી “ટોળકી” શબ્દ બોલે ત્યારે વિચારવું પડે નરેન્દ્ર મોદીની વિચક્ષણતા માટે શંકા કરી શકાય તેમ નથી, એમની શાસકીય પક્કડ આપણે ગુજરાતમાં જોઈ છે, છતાં પણ નરેન્દ્ર ભાઈ આ “ટોળકી” શબ્દ બોલે અને એનાથી બચવાનું છે એમ કહે ત્યારે ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી સાચા લાગે..
એનડીટીવીના મામલામાં તો ટોળકી જીતી ગઈ એવું લાગે છે,અર્થ લેવો હોય તો એવો પણ લઇ શકાય કે હજી ગુજરાત જેવી પક્કડ નથી આવી લાગતી, ટોળકી એનું ધાર્યું કરાવી રહી છે…
મને ડર એટલો જ છે કે આમને આમ જો નરેન્દ્ર મોદી “ભૂલો” કર્યા કરશે અને “માફી” આપતા રેહશે તો એમના પછી આવનારા શાસકની મઝાર પર ઝીયારત કરવા આવતા લોકો નરેન્દ્ર મોદીની સમાધીએ પણ બે જોડા મારી અને પછી પૂજા કરવા ના જાય..
આજે “જય ઇટલી” લખવું પડશે
ચાર પાંચ વાર “જય ઇટલી” બોલી જાવ શબ્દ એટલે ટોળકી ના મેમ્બરોના નામ આવી જશે તમારા મોઢે..
શૈશવ વોરા